વ્યાસપીઠ કોઈના ઉપર રાગદ્વેશનાં કોગળા કરવા માટે નથી પણ જરૂરી હોય તે બોલવું જ પડે : રમેશભાઈ ઓઝા
જો સાધુઓ વિફર્યા તો….. મોરબીમાં આયોજિત ભાગવતકથામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની હાજરીમાં જ વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થનારૂપે ચેતવણી
મોરબી : સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા દેવાધિદેવ મહાદેવજી અને હનુમાનજી વિશે અનાપ શનાપ બોલવાને લઈ હાલમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં આયોજિત ભાગવત સપ્તાહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની હાજરીમાં જ વ્યાસપીઠ ઉપરથી કથાકાર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ આવો બફાટ કરનારને આડેહાથ લઈ બીજાને હીણા ચીતરવાના સાહસ, દુઃસાહસ ન કરવા ચેતવણી સ્વરૂપ પ્રાર્થના કરી જો સાધુઓ વિફર્યા તો…… કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને આવું બધુ રોકવા જણાવ્યું હતું.
મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે ચાલી રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના બીજા દિવસે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ શિવજીનો મહિમા વર્ણવવાનું શરૂ કરી વંદે દેવ ઉમાપતિ વંદે જગતકારણમ શ્ર્લોકનું પઠન કરવાનું શરુ કરી અચાનક જ ભગવાન શિવજી વિષે ઘસાતું બોલનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને આડેહાથ લીધા હતા. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ભોળાનાથનો મહિમા ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ, આવા બિચારાઓ ઉપર ક્રોધ પણ કેમ કરવો. આ તકે વેધક સવાલ ઉઠાવતા કહ્યું હતું કે દેવાધિદેવ મહાદેવને પગે લગાડે એને પ્રબોધ કેમ કહેવો ? આ તકે તેમને તુલસીદાસે કરેલી પ્રબોધ વિશેની સમજણ પણ વર્ણવી હતી.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, વ્યાસપીઠ કોઈના ઉપર કોગળા કરવા માટે નથી, વ્યાસપીઠ ઉપર બેસનારો ખુબ વિવેકથી બોલે, અને જે બોલવા જેવું જરૂરી હોય તે બોલે જ…..કહી કહ્યું હતું કે મને કોઈ રાગદ્વેષ નથી ખુબ સદભાવ સાથે કહું છું બાપા જાળવ્યા જાવ જો આ સાધુઓ વિફર્યા તો…. આ દશનામ સાધુઓને અની કહે….અની એટલે કે સેના બીજાને હીણા ચિતરવાનો પ્રયાસ, સાહસ,,,,દુઃસાહસ ના કરો બીજાને હેઠા ચીતરીને મહિમા વધારવાની આ નબળાઈ હોવાનું જણાવી કથાસ્થળે ઉપસ્થિત સ્વામિનારાયણ સાધુઓને કહ્યું હતું કે, પ્રાર્થના કરું છું આપની ઉપસ્થિતિ આનંદ દાયક છે આપ સાથે મળી આ બધું રોકો.
આ તકે તેમણે એમ પણ કહ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય મહત્વનો સંપ્રદાય છે, જેના સંતો સમજદાર છે, વધુમાં કોઈનું નામ લીધા વગર તેઓએ જણાવ્યું હતું કે દેવાધિદેવ મહાદેવજી વિશે ઘસાતું બોલવા પાછળની ઘટનાઓ પાછળ ક્યાંકને ક્યાંક ખોટા ચોપડા ચીતરાયા હોવાનું જણાવી તેમને કહ્યું હતું કે, આપના આરાધ્યમાં શ્રધ્ધા રાખો, તેને ભગવાન ગણો એમાં કોઈ વાંધો નથી પરંતુ બીજાને હીણા ચીતરવા એ જરાપણ યોગ્ય નથી.
વધુમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે વ્યાસપીઠ ઉપર બેસી અથવા તો ભગવા પહેરી કે પછી મારી જેમ ટીલા ટપકા કરી જનપ્રબોધન કરતા હોય ત્યારે આપણી જવાબદારી વધે છે. આજનો જમાનો મીડિયાનો છે કઈ છૂપું રહેતું ન હોવાનું કહી અંતમાં બીજાને નીચા પાડવા હીણા ઉતારવા એ સાધુતા ન હોવાનું કહી આનાથી સંપ્રદાયને જ દાગ લાગશે નુકશાન જશે તેમ જણાવી જાહેરમાં તો ઠીક ખાનગીમાં પણ આવા ખોટા ઉપદેશો ન અપવાપવા અંતમાં જણાવ્યું હતું.