ગ્રેડ પે અને પડતર પ્રશ્ન બાબતે મોરબીના વન કર્મીઓની હડતાળ

- text


વારંવાર રજૂઆત છતા નિરાકરણ નહીં આવતા આંદોલનના મંડાણ

મોરબી : વનરક્ષક વર્ગ-3ને 2800 ગ્રેડ-પે તેમજ વનપાલને 4200 ગ્રેડ પે, રજા પગાર આપવા તથા અન્ય વિવિધ પ્રશ્ને રાજ્યના વન કર્મીઓ દ્વારા ચાલતી લડતમાં મોરબીના વનકર્મીઓ પણ જોડાયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ગાંધી ચીંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અગાઉ આ અંગેની વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરાઈ હતી.

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ શરૂ થયેલ લડતમાં અગાઉ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના મુખ્ય મુદ્દા જેમાં વનરક્ષક વર્ગ-3ને 2800 ગ્રેડ-પે તેમજ વનપાલને 4200 ગ્રેડ પે આપવામાં આવે, આ ઉપરાંત રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવા તથા વનરક્ષકની ભરતી અને બઢતીનો રેસીયો 1:3 કરી આપવાની મુખ્ય રજૂઆત છે.

- text

ઉપરોક્ત પ્રશ્નો મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું ન હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું. વન રક્ષક કર્મચારી મંડળના ગ્રેડ પે, રજા પગાર, ભરતી – બઢતીનો રેસીયો વગેરે પ્રશ્નો બાબતે નિરાકરણ નહીં આવતા અંતે તંત્રને આપેલી ચીમકી મુજબ ફોરેસ્ટના કર્મચારીઓ ગત 6 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.

- text