ગુજરાતી હાસ્ય સાહિત્યમાં મોરબીના હાસ્ય લેખક ડો. અમૃત કાંજિયાના વધુ એક પુસ્તકનું ઉમેરણ

- text


‘વ્યંગવિનોદ વિહાર’ પુસ્તકમાં હળવી શૈલીમાં ગંભીર બાબતો તરફ ઈશારો

મોરબી : મોરબીના હાસ્ય લેખક ડૉ. અમૃત કાંજિયાના નવા પ્રકાશિત થયેલા પુસ્તક ‘વ્યંગવિનોદ વિહાર’થી ગુજરાતી હાસ્ય સાહિત્યના પુસ્તકમાં એકનું ઉમેરણ થયું છે.

મોરબીના ખાખરાળા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા ડો.અમૃત કાંજિયા પીટીસી પછી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા. સાથોસાથ સાહિત્યની સફર પણ શરૂ કરી. શરૂઆતમાં તેઓએ રેડિયોમાં સંસ્કૃત વિષયને લગતા વાર્તાલાપો, કાવ્યો, નવલિકાઓ તેમજ હળવીશૈલીના વાર્તાલાપો જેવા કાર્યક્રમો આપ્યા. નોકરીની સાથે તેઓએ ઉચ્ચ અભ્યાસ પણ ચાલુ રાખ્યો. બીએ, એમ.એ, બી.એડ પછી યુજીસી/નેટની પરીક્ષા પાસ કરી. સંસ્કૃતમાં ‘વાલ્મીકિ રામાયણમાં ભવિષ્યકથન : એક વિવેચનાત્મક અભ્યાસ’ વિષય પર શોધનિબંધ તૈયાર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી તેમજ સાહિત્યમાં પણ અનેક સામયિકોમાં એમની કૃતિઓ પ્રસિધ્ધ જતી રહી. જો કે એમની કલમ હાસ્યનિબંધ પર સ્થિર થઈ. તેઓના અત્યાર સુધીમાં અમથા આંટાફેરા, હાસ્યામૃત, પોક મૂકીને હસીએ, કલમના ઘસરકા વગેરે પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.

- text

લેખક પ્રસ્તાવના લખે છે – ‘વિષાદ વિમોચન વેળાએ’ આ શીર્ષકથી. એમના મતે હસી શકવું એ રોજનો રોકડનો નફો છે. હસતા મનુષ્યની આવકમાં ડૉક્ટરો ભાગ્યે જ પાર્ટનર બની શકે છે. એમની આ બુકમાંના નિબંધોમાં વ્યંગ દ્વારા વિનોદ ફલિત થયા કરે છે. કોઈની ઠઠ્ઠામશ્કરી દ્વારા હાસ્ય માટે પ્રયાસ કરવો એ તો આ લેખકને આવડ્યું જ નથી. હા, મનુષ્યના સ્વભાવની અળવીતરાઈને એ જોરશોરથી ફટકારવામાં કંઈ જ બાકી રાખતા નથી. સરળ અને લોકભોગ્ય શૈલીમાં, વિદ્વાન હોવા છતાં વિદ્વતાને કોરાણે મૂકીને વારંવાર પોતાની જાત પર હસતા-હસાવતા લેખક સાચી વાત કહી દેવા માટે જ જાણે હાસ્યનું શસ્ત્ર હાથ ધરે છે!
એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી નિબંધ પૂરો કર્યા વગર ઊઠવું જ અશક્ય બની જાય છે.
ભાણદેવે યથાર્થ જ કહ્યું છે, “હાસ્યરસ પ્રગટાવવો એ સરળ વાત નથી. તે માટે ઘણી ગહન સમજ અને સૂક્ષ્મ બુદ્ધિ આવશ્યક છે. ભાઈ અમૃતલાલમાં હાસ્યરસ નિષ્પન્ન કરાવવા માટે આવશ્યક આવી સૂક્ષ્મ સમજ અને સૂક્ષ્મ બુદ્ધિ છે અને તદ્દનુસાર તેઓ હાસ્ય-લેખક બની શક્યા છે.”

ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પુસ્તક પ્રકાશિત કરવા માટે પ્રકાશન યોજનામાં સમાવ્યું એ જ આ બુક માટેનું પ્રમાણપત્ર નથી શું?

વિષય વૈવિધ્ય અને હળવીશૈલીમાં ગંભીર બાબત તરફ ઇંગિત કરતા પુસ્તકોમાં આ પુસ્તકની ગણના ચોક્કસ થશે. 29 લેખો અને 128 પેઈજનું આ પુસ્તક યાદગાર દિવસોએ મિત્રો-સંબંધીઓને ભેટ આપી શકાય એવું છે.

લેખકની કલમયાત્રામાંના આ પાંચમા પડાવ પર એમની આ સર્જનયાત્રા આગળ વધતી જ રહે એવી શુભેચ્છાઓ મળી રહી છે.

- text