રણમાં અલ્ટો કાર પલટી મારી જતાં માળીયાના પોલીસ જવાનનું મૃત્યુ : ત્રણ ઈજાગ્રત

- text


 

વતન માનગઢથી સુરેલ શક્તિમાંના દર્શને ગયા હતા ત્યારે પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત

હળવદ : માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હળવદ તાલુકાના માનગઢ ગામના વતની પોલીસ જવાન સહિત પરિવારના ત્રણ સભ્યોને કચ્છના નાના રણમાં અકસ્માત નડતા પોલીસ જવાનનું મોત નીપજ્યું છે. જ્યારે સાથે રહેલ ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા અને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામભાઇ કુકાભાઈ ગોલતર(ભરવાડ)તેમજ તેમના પરિવારના ભીમાભાઇ બાલુભાઈ ગોલતર, બલવાભાઈ માત્રાભાઈ ગોલતર અને વજાભાઈ સુંડાભાઈ ગોલતર આજે માનગઢથી જી.જે ૧૩-એએમ-૬૭૭૩ નંબરની અલ્ટો કાર લઈ રણના સામા કાંઠે આવેલ સુરેલ શક્તિમાંના દર્શન કરવા ગયા હતા.

દરમિયાન શક્તિમાંના દર્શન કર્યા બાદ કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાના મંદિરે દર્શન કરી ટીકર(રણ) તરફ આવી રહ્યા હતા તે વેળાએ રણમાં કાર પલટી મારી જતા કારમાં સવાર ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ લાવવામાં આવ્યા હતા. જોકે પોલીસ જવાન સગરામભાઇને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું.

- text

હાલ હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે તો બીજી તરફ માનગઢ ગામના પોલીસ જવાનનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર સહિત ગ્રામજનોમાં અને મોરબી પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે.

- text