હજનાળી પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય તથા સરપંચ-ઉપસરપંચનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : હજનાળી પ્રાથમિક શાળામાં શિક્ષક ચાવડા ઉષાબેનનો વિદાય સમારોહ અને હજનાળી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ-ઉપસરપંચનો સન્માન સમારોહ યોજાયો હતો.

ગત્ તારીખ 5/03/2022 ને શનિવારના રોજ હજનાળી પ્રાથમિક શાળામાં છેલ્લા 16 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા ચાવડા ઉષાબેનની મોરબી તાલુકાની અન્ય શાળામાં બદલી થતા ઉષાબેનનો વિદાય સમારોહ યોજાયો. આ તકે ઉષાબેનને શાલ, પુષ્પગુચ્છ અને હજનાળી સ્ટાફ દ્વારા ભેટ આપી આગળ પણ નિરોગી સ્વાસ્થ્ય સાથે શિક્ષક તરીકે ફરજ બજાવે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે માનભેર વિદાય આપવામાં આવ્યા હતા.

વધુમાં, આ તકે ગત ગ્રામ પંચાયતની ચુંટણીમાં હજનાળી ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હોઈ શાળા પરીવાર દ્વારા સરપંચ મહેશભાઈ પારેજીયા તથા ઉપસરપંચ રસિકભાઈ પરમારનું પણ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. શાળા અને ગામના વિકાસલક્ષી કાર્ય માટે સતત ચિંતિત એવા સરપંચ તથા ઉપસરપંચ અને સંપૂર્ણ પંચાયતને શાળા પરીવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે સરપંચ મહેશભાઈ પારેજીયા દ્વારા શાળાના તમામ બાળકો માટે 5555/- રૂપિયાની સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. જ્યારે ઉપસરપંચ રસિકભાઈ પરમાર દ્વારા શાળાના તમામ બાળકોને ચવાણું અને પેંડાનો ભરપૂર નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text

આ સમારોહમાં ભૂતપૂર્વ ગુરુવર એવા સાણંદિયા હેમરાજભાઈ તથા કાસુન્દ્રા કાનજીભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ટુંડિયા ગૌતમભાઈ એ શાળાની પ્રગતિ માટે તથા બાળકોના શિક્ષણ સુધારણા માટે શક્યતઃ પ્રયાસ કરીશું એવો દ્રઢ નિર્ધાર કર્યો હતો. શિક્ષક પરમાર ગોરધનભાઈ તથા ચનિયારા મોહિતભાઈએ કાર્યક્રમનું સુંદર આયોજન ગોઠવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢવી સંજયભાઈ દ્વારા તથા કાર્યક્રમની આભારવિધિ ખાંભરા અમિતભાઈ દ્વારા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

- text