કચ્છના 150 ગામના પ્રતિનિધિઓને ચાચાપરની વિઝીટ કરાવી જળસંચય અંગે માર્ગદર્શન આપતા જયસુખભાઈ પટેલ

- text


 

15 વર્ષ પૂર્વે પાટીદાર ભામાશા ઓધવજીભાઈ પટેલે કરોડોના ખર્ચે બનાવેલા ચેકડેમો, તળાવો તથા કુવા નિહાળી પ્રતિનિધિઓ અભિભૂત થયા

મોરબી : કહેવાય છે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે જો પાણીને બચાવી અને યોગ્ય રીતે સંગ્રહ નહીં કરીએ તો આપણી આવનારી પેઢીઓ એ પાણી માટે વલખા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી. આ શબ્દો છે ઓરેવાના સુપ્રીમો જયસુખભાઈ પટેલના. તેઓ જળસંચય માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેઓએ કચ્છના 150 ગામના પ્રતિનિધિઓને ચાચાપર ગામની મુલાકાત કરાવીને જળસંચય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કચ્છ જીલ્લામાં વરસાદી પાણી રોકવા અને જમીનમાં ઉતરવવા માટેનું એક અભિયાન ગ્લોબલ કચ્છ ચાલુ કરવામાં આવેલ છે. આ અભિયાનના ફર્સ્ટ ફેઝમાં કચ્છના અબડાસા, નખત્રાણા, નલીયા તાલુકાના ૧૫૦થી વધારે ગામડામાં પાણીના સંગ્રહ કરવાની ઝુંબેસ ચાલુ કરેલ છે. જે અભિયાન પર ૨૬ જાન્યુઆરીથી ૩૦ મેં દરમ્યાન કાર્યો અને પ્રયાસો કરાશે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમ બનાવવા કુવા રીચાઁજ કરવા વગેરે વર્ક માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે.

આજથી આશરે 15 વર્ષ પહેલા પાટીદાર ભામાશા ઓધવજીભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લાના ચાચાપર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચ થકી 6 થી 7 ચેકડેમ અને ત્રણ થી ચાર તળાવો તથા કુવા રીચાર્જ પર કામ થયેલ હતું. પરિણામ સ્વરૂપ ભૂગર્ભ તળ ઊંચા આવેલ છે. જળસંચયના સચોટ પ્રયાસ થકી ચાચાપર ગામના ખેડૂતોની ઉત્પાદકતા અને સુખાકારીમાં ખૂબ જ મોટો વધારો થયેલ છે.

ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ પાસેથી મળેલી માહિતી મુજબ આ જ રીતે કચ્છના દરેક ખેડૂતોની કાર્યદક્ષતામાં વધારો થાય તેવા ઉન્નત વિચારથી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રિમો જયસુખભાઇએ ગ્લોબલ કચ્છ અભિયાન સાથે જોડાયેલા ત્રણ તાલુકાના આશરે 150 ગામના પ્રતિનિધિઓને આજે તા.27 રોજ ચાચાપર ગામની પ્રત્યક્ષ વિઝીટ કરાવી હતો. સમાજલક્ષી આ પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ ઓરેવા ગ્રુપ દ્વારા કરાયો હતો.

આ વિઝીટ દરમિયાન જયસુખભાઈ તરફ થી જળ સંગ્રહ તથા ભુગઁભ જળની કાર્યદક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતામાં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય તેમની વિસ્તૃત ચર્ચા અને નોલેજ ખેડૂતો સાથે શેર કરેલ હતું. લાખો લોકોને ફાયદારૂપ અને કલ્યાણકારી એવી જયસુખભાઇ પટેલની રણ સરોવર રૂપિ અદભુત પહેલની દરેક ખેડૂતોએ અત્યંત પ્રશંસા કરી હતી. રણ સરોવર રૂપી અદ્ભુત વિચાર અને પહેલ બદલ કચ્છના ખેડૂત પ્રતિનિધિઓએ જયસુખભાઇને સન્માનિત કર્યા હતા.

આયોજન બદ્ધ વોટર મેનેજમેન્ટ ખેત ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બનતું હોય છે માટે અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઈએ દરેક ખેડૂતોને ચાચાપર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને તેમના ઉત્સાહ અને કાર્યશક્તિમાં ખૂબ જ વધારો કર્યો જે ખુબ જ સરાહનીય છે.

- text

જળસંગ્રહના મોડલ સ્વરૂપ મોરબીના ચાચાપર ગામની દરેક ખેડૂતોએ પ્રશંસા કરી હતી. યોગ્ય જળસંગ્રહ કરીને ખેત ઉત્પાદકતા વધારવા માટેની ચાચાપર ગામની આ પ્રત્યક્ષ મુલાકાત દરેક ખેડૂતને ખુબ જ ઉપયોગી બનશે. તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવીને દરેક ખેડૂત પ્રતિનિધિઓએ પાટીદાર રત્ન જયસુખભાઈનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

- text