મોરબી-પીપળી રોડનું સમાર કામ શરૂ : નવા ફોર લેન રોડ માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મંત્રીનો આદેશ

- text


 

  • મોરબી અપડેટમાં ઔદ્યોગિક ઝોનના રોડની બિસ્માર હાલત અંગેનો અહેવાલ પબ્લિશ થયા બાદ તંત્ર હરકતમાં : મંત્રીએ રાજકોટ ખાતે બોલાવી ખાસ બેઠક

  • નટરાજ ફાટક અને મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રિજનું કામ તથા સ્ટાફ કવાટર્સ અને નવી કોર્ટના કામને વેગ આપવા મંત્રીની સૂચના

મોરબી : મોરબી અપડેટમાં ઔદ્યોગિક ઝોનના રોડની બિસ્માર હાલત અંગેનો અહેવાલ પબ્લિશ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા આજથી રોડનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મામલાને ગંભીરતાથી લઈને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજકોટ ખાતે ખાસ બેઠક પણ બોલાવી હતી. જેમાં તેઓએ ફોર લેન રોડ માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો છે.

રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેકવિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકિદની સમિક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર, નાયબ કાર્યપાલક ઉપસ્થિત રહયા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીએ મેળવી હતી. આ રોડને મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક અને પટ્ટા કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ આ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીએ અધિકારીઓને આપી હતી.

આ ઉપરાંત પ્રજાની આકાંક્ષા મુજબ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકિદે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નટરાજ ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.૮૦ કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ રૂ.૪૦ કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને ફોલોઅપ પણ મેળવવામાં આવી રહયુ છે તેમ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી-પીપળી રોડ ઉપર જે સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં માત્ર ખાડા બુરવાનું અને થિગડા મારવાનું કામ થઈ રહ્યું છે. જે માત્ર કામચલાઉ જ છે. જો તાકીદે નવો રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં નહિ આવે તો સ્થિતિ પહેલા જેવી જ થઈ જશે.

- text