મોરબીની ટ્રાફિક સમસ્યાના નિવારવા મચ્છુ નદી ઉપર ચાર બ્રીજ બનાવવા આવશ્યક

- text


વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને કર્યા મહત્વના સૂચન

મોરબી: દિનપ્રતિદિન વધતી જનસંખ્યા, વધતા વાહનો અને ઉદ્યોગ જગતના વિકાસને લઈને મોરબીની ટ્રાફિક સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી રહી છે. વધતા ટ્રાફિકને લઈને શહેરીજનોને સમય સાથે ઈંધણનો પણ વ્યય કરવો પડી રહ્યો છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ પ્રતિદિન વધતું ચાલ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોરબીની ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુ કેટલાક સૂચનો લેખિતમાં સૂચવી ટ્રાફિક સમસ્યા નિવારવા મચ્છુ નદી ઉપર ચાર બ્રીઝ બનાવવા મહત્વનું સૂચન કર્યું છે.

મોરબી શહેરની જીવાદોરી સમી મચ્છુ નદી શહેરને અડીને પસાર થાય છે. ત્યારે મચ્છુ નદી પર ચાર જેટલા સ્થળો પર પુલ નિર્માણ થાય તો શહેરના ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એવું જણાવીને હસમુખભાઈએ સૂચન કર્યુ છે કે, કાલિકા ઘટથી મહાપ્રભુજીની બેઠક, જુના સ્મશાન વીસી ફાટકથી સામાકાંઠે તથા ઉમા ટાઉનશીપ, રામઘાટથી સામાંકાંઠે અને ભડીયાદ રોડથી લીલાપર રોડને જોડતો બેઠો પુલ નિર્માણ થાય તો ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવી જાય તેમ છે.

- text

ખાસ કરીને રવાપર રોડથી સામાંકાંઠે લોકોની ખાસી અવરજવર રહે છે. ઉપરોક્ત પુલ બની જવાથી રવાપર રોડથી લીલાપર રોડ થઈ સીધા સામાકાંઠે પહોંચી શકાય તેમ હોય તમામ ટ્રાફિક એ માર્ગ પરથી ડાયવર્ટ કરી શકાય તેમ છે. વળી વાઘજીબાપુના બાવલા પાસે નટરાજ ઓવરબ્રિજની જરૂરિયાત પણ વર્તાય છે. એજ રીતે ઉમિયા ચોક, શનાળા રોડ, ફ્લાઈ ઓવર બ્રિજ પણ ટ્રાફિકની મુશ્કેલી દૂર કરી શકે તેમ છે.

આ ઉપરાંત મોરબી બાયપાસ પાર્ટ 1, 2, 3, 4 બનાવવાથી શહેરમાં પ્રવેશતા વાહનોની સંખ્યા ખૂબ ઓછી થઈ જશે. રવાપર ગામથી દલવાડી સર્કલ સુધી કેનાલની બન્ને બાજુ આર.સી.સી.ના પાકા રસ્તાઓ બનાવવાથી ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે તેમ છે. ઉપરોક્ત સૂચનો પરત્વે ગંભીરતાપૂર્વક વિચાર મંથન કરવા એક મિટિંગનું આયોજન કરવું, જેમાં માર્ગ અને મકાન વિભાગના એન્જીનીયર, નગરપાલિકાના એન્જીનીયર સહિતનાઓને હાજર રાખી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સલાહ-સૂચનો ચર્ચવા એમ વી.એચ.પી.ના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રજુઆતના અંતમાં જણાવ્યું હતું.

- text