મોરબી: કાયમી માન્યતા આપવા અર્થે 62 ખાનગી શાળામાં ચેકિંગ, તમામ શાળાઓ ફેઈલ

- text


કાયમી માન્યતા મેળવવા માટે શાળાઓને સરકારના ધારાધોરણ પ્રમાણે સજ્જ બનવા 15 દિવસનો સમય અપાયો : કુલ 182 શાળાઓમાં ચેકીંગનો દોર ચાલશે

મોરબી : મોરબી જિલ્લામાં હંગામી માન્યતા ધરાવતી સ્વનિર્ભર શાળાઓ કાયમી માન્યતા ધરાવવાની યોગ્યતા ધરાવે છે કે નહીં તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 62 શાળાઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગમાં સરકારના ધારાધોરણ પ્રમાણે એક પણ શાળા કાયમી માન્યતા મેળવવાને પાત્ર ન હતી. જો કે તંત્ર દ્વારા આ શાળાઓને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં કુલ 205 સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં 23 શાળાઓ કાયમી માન્યતા ધરાવે છે. બાકીની 182 શાળાઓ હંગામી માન્યતા ધરાવે છે. આ શાળાઓ કાયમી માન્યતા મેળવવા માટે પાત્રતા ધરાવે છે કે કેમ તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ દ્વારા સમગ્ર જિલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકામાં 35, ટંકારા તાલુકામાં 8, વાંકાનેર તાલુકામાં 11 અને હળવદ તાલુકામાં 8 મળી કુલ 63 શાળાઓમાં ચેકીંગ કરીને સરકારના ધારાધોરણ પ્રમાણે જરૂરી સુવિધા , સલામતીની વ્યવસ્થા અને જરૂરી દસ્તાવેજો છે કે નહિ તે તપાસવામાં આવ્યું હતું.

- text

આ ચેકીંગમાં 62 પૈકી એક પણ શાળા કાયમી માન્યતા મેળવવાની પાત્રતા ધરાવતી ન હોવાનું સામે આવ્યું હતું. માટે તમામ શાળાઓને નોટિસો આપીને સરકારના ધારાધોરણ અનુસરવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હજુ આ ચેકીંગ ચાલુ જ છે. હજુ 120 શાળાઓનું ચેકીંગ બાકી રહ્યું છે. આ ચેકીંગનો પ્રથમ રાઉન્ડ 31મી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવનાર છે.

- text