- text
માળીયા (મી.) : મોરબી જિલ્લાના એક માત્ર બંદર નવલખી પોર્ટને વિકસાવવા, આ અગાઉ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરેલી માંગણીનો સ્વીકાર કરતા 173 કરોડના ખર્ચે જેટી બનાવવાનું મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું. આ દરમ્યાન મંજુર થયેલા જુના બજેટમાં 19 કરોડનો વધારો કરીને હાલ આ કામ માટે 192 કરોડ રૂપિયા ખર્ચીને અદ્યતન જેટી બનાવવાની પુનઃ જાહેરાત કરવામાં આવી છે.
જોકે, ઉપરોક્ત કામગીરીની જાહેરાત બાદ હજુ સુધી ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હોવાથી પાંચ માસ પહેલા થયેલી પહેલી જાહેરાતમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હાલ 19 કરોડના વધુ મંજુર થયેલા બજેટ બાદ નવલખી પોર્ટ પર અદ્યતન જેટી બનાવવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરાય એવી માંગણી ધારાસભ્ય મેરજાએ કરી છે.
- text
ઉલ્લેખનીય છે કે નવલખી બંદર રાજાશાહી સમયનું કુદરતી બારું ધરાવતું બંદર છે. અહીં જો આધુનિક જેટી બનાવવાની કામગીરી સત્વરે પુરી થાય તો કચ્છ સુધીની પરિવહનની સુવિધા ઉપલબ્ધ બને તેમ છે. આ ઉપરાંત હાલ માત્ર કોલસાની આયાત તરીકે જ ઉપયોગમાં લેવાતા બંદરનો સીરામીક, નમક અને ઘડિયાર ઉધોગોને પણ નજીકમાં જ વિદેશ નિકાસ માટે સુવિધા ઉપલબદ્ધ બનતા કંડલા સુધીનો સડક માર્ગનો પરિવહન ખર્ચ ઓછો થાય તેમ છે. આથી મોરબી જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે મંજુર થયેલા જેટીના નિર્માણકાર્ય માટેની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે એવી ધારાસભ્ય મેરજાએ માંગણી કરી છે.
- text