વાંકાનેરનું એક અનોખું ગામ જ્યાં બધા લોકોની અટક એક જ સરખી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાનું બોકડથંભા ગામ કે જ્યાં ગામની વસ્તી અંદાજિત ૭૦૦ લોકોની છે. જે ગામના મોટાભાગના ઘરો નળિયાવાળા જુનવાણી છે અને ગ્રામ્ય લોકોનું જીવન સીધું અને સાદું છે. આ ગામની એક નોંધનીય બાબત એ છે કે આ ગામના લોકો પર ક્યારેય પોલીસ કેસ થયેલ નથી બધા ગ્રામજનો એકસંપ રાખી હળીમળીને રહે છે. સૌથી મોટી વિશેષની બાબત એ છે કે આ ગામના બધા લોકોની સરનેમ સરાવાડીયા છે. જે ચુવાળીયા કોળીમાં આવે છે. આ ગામમાં સરાવાડીયા સિવાય અન્ય સરનેમ વાળા કોઈ લોકો રહેતાં નથી. ન રહેવા પાછળનું સ્પષ્ટ કારણ તો કાંઈ જાણવા ન મળ્યું પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં વસવાટ કરે તો તે લોકો સુખી નથી થતાં માટે ગામ છોડી જતા રહે છે અને હવે તો ગામમાં બીજું કોઈ રહેવા આવતું નથી.

 

ગ્રામજનોના કહેવા મુજબ રાજાશાહીમાં તેમના વડવાઓ થાનગઢ નાં રહેવાસી હતા અને ત્યાંથી તેઓ પાજ ગામે વસવાટ કરી ખેતીવાડી કરતાં ત્યારબાદ તેઓ ત્યાંથી રાતાભેર ગયેલ પરંતુ ત્યાં તેઓને માફક નહીં આવતાં પાછા થાન જવાં રવાના થયેલ પરંતુ રસ્તામાં લુણસરીયાના દરબાર લોકોએ તેમને રહેવા માટે જગ્યા આપી અને આજીવિકા માટે તેમના ખેતરોમાં ખેતીવાડી કરતાં અને ત્યાં જ થાનક રાખી ગામ વસાવ્યું. આ ગામ ચુવારીયા કોળીના પાંચ ભાઈઓ નારણબાપા, સવાબાપા, હરીબાપા, મઘાબાપા અને ઉકાબાપાનો વસ્તાર છે. ગ્રામજનો મુખ્યત્વે ખેતી તેમજ છૂટક મજૂરી કરી તેના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. ગામમાં અન્ય કોઈ વ્યક્તિનું ન રહેવું એ બાબત અંધશ્રદ્ધા કહો કે વિશેષતા પરંતુ આ ગામમાં આ પાંચ ભાઈઓના વંશજો સિવાય અન્ય કોઈ રહી શકતું નથી.

- text

બોકડથંભા ગામની પાછળના ભાગે પહેલાં એવું કહેવામાં આવતું કે તે મેલી જગ્યા છે માટે ગ્રામજનો ત્યાં જતાં નહીં પરંતુ ગામના જ ઘનશ્યામદાસ (ઘોઘા ભગત) એ ત્યાં રામમઢી આશ્રમ બનાવ્યો જ્યાં માતાજીનું મંદિર અને રામદેવપીરનું મંદિર બનાવ્યું ઉપરાંત આશ્રમમાં ગૌશાળા અને ભોજનાલય પણ બનાવ્યું આશ્રમની અંદર એક ભોંયરું બનાવ્યું જ્યાં દરેક દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ઘોઘા ભગત દ્વારા આ આશ્રમ બનાવ્યા બાદ ગ્રામજનો ત્યાં પૂજન અર્ચન કરવા જાય છે.

- text