મોરબી : ખેડૂતે જીરો બજેટ ખેતી શરૂ કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

- text


ગાજીયાબાદ યુનિવર્સીટીમાંથી વેસ્ટ ડી કંમ્પોઝ ખાતર મંગાવી શરૂ કરી ઓર્ગેનિક ખેતી

મોરબી : મોરબીના ખાખરાળા ગામના પ્રયોગશીલ ખેડૂત અને નિવૃત ફોરેસ્ટ ઓફિસરે જીરો બજેટ ખેતી શરૂ કરી વગર ખાતર અને દવાએ મબલખ ઓર્ગેનિક ખેત ઉત્પાદન મેળવવાનું શરૂ કરતાં આજુબાજુના ગામડાઓના ખેડૂતો દંગ રહી ગયા છે અને અન્ય ખેડૂતો પણ આ જીરો બજેટ ખેતી તરફ વળી રહયા છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા અને માત્ર આઠ વિઘા જેટલી જમીન ધરાવતા શિવલાલભાઈ ડાંગર નિવૃત ફોરેસ્ટ ઓફિસર છે, પોતાની ૬૦ વર્ષની ઉંમર હોવા છતાં યુવાનોને વિચારતા કરી મૂકે તેવી કુનેહ ધરાવતા હોય યુ ટ્યુબ મારફત ઓર્ગેનિક અને ઝીરો બજેટ ખેતી અંગે જાણકારો મેળવવા ખૂબ મથામણ કરી અને તેમાં આજે ધારી સફળતા મેળવી છે.

શિવલાલભાઈ ડાંગરે યુ ટ્યુબ મારફતે ઝીરો બજેટ ખેતી અંગે માહિતી મેળવી ગાજીયાબાદ યુનિવર્સીટીના નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગમાંથી ગાયના છાણ અને ગૌમૂત્ર માંથી તૈયાર થતું વેસ્ટ ડી કંપોસ્ટ નામનું ખાતર રૂ.૧૦૦ નું મનીઓર્ડર કરી મંગાવ્યું, રૂપિયા ૧૦૦ માં ગાજીયાબાદ યુનિવર્સીટીએ ૫ બોટલ દવા મોકલાવી હતી.

આ ખાસ વેસ્ટ ડી કંપોસ્ટની એક બોટલમાંથી અંદાજે ૨૦૦ લીટર ખાતર દવાનો ઓર્ગેનિક ડોઝ તૈયાર થાય છે, જેને પિયતમાં અથવા પંપ મારફતે વાવેતરમાં છંટકાવ કરવાનો હોય છે.

શિવલાલભાઈ ડાંગર ઉમેરે છે કે આ વેસ્ટ ડી કંમ્પોઝની એક બોટલમાં દવા તૈયાર કરવામાં બેરલમાં ૨૦૦ લીટર પાણી ભરી તેમાં અઢી કીલો જૂનો ગોળ નાખી છ થી સાત દિવસ આ દ્રાવણ ને મૂકી રાખવાનું હોય છે અને સાતમા કે આઠમા દિવસે આ દ્રાવણ પાકને આપવા માટે તૈયાર થઈ જાય છે.

- text

વધુમાં શિવલાલભાઈ ઉમેરે છે કે આ ઓર્ગેનિક દ્રાવણ ના ઉપયોગથી જમીનમાં ફળદ્રુપતા વધે છે અને પ્રત્યેક વિધે વાવેતર કરવામાં બિયારણ ઓછું જોઈ છે અને ઉત્પાદન વધુ આવે છે, તેઓએ ઘઉના વાવેતર અંગે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે અન્ય ખેડૂતો વિધે ૨૦ થી ૨૫ કિલો ઘઉં વાવે છે જયારે તેઓએ માત્ર ૧૫ કિલો બિયારણ ઉઓયોગ કર્યું અને એક વિધે ૫૦ મણ ઘઉંનું ઉત્પાદન મેળવશે જ્યારે અન્ય ખેડૂતોને વિધે માત્ર ૨૫ થી ૩૦ મણ ઘઉંનો જ ઉતારો આવે છે.

એથી પણ આગળ તેઓ ખેતીને સાવ ઝીરો બજેટ કેમ બનાવી શકાય તેની સલાહ આપી પોતાની ખેતી કરવાની પદ્ધતિ અંગે જણાવે છે કે સામાન્ય રીતે કોઈપણ પાક વાવેતર કરતા દરેક દશ વિઘા જેટલી જમીનમાં પાળા નાખવાને કારણે દોઢ વિઘો જમીન બિનઉપયોગી થઈ જાય છે પરંતુ શિવલાલભાઈ કોઠાસૂઝ અને આધુનિક પ્રયોગશીલ ખેતીમાં નકામા જણાતા પાળા ઉપર આડ પેદાશ રૂપે મગ,અડદ, ચણા,સૂર્યમુખી જેવા રોકડીયા પાક વાવી વાવેતર ખર્ચ કરતા પણ વધુ રકમની વધારાની આવક મેળવી રહ્યા છે વળી આવા કઠોળ જેવા પાકને કારણે જમીનને પૂરક તત્વો મળતા હોય ખેતીની ફળદ્રુપતામાં વધારો થતો હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઝીરો બજેટ ખેતી અપનાવી ખાખરાળા અને આજુબાજુના ગામોમાં પ્રયોગશીલ ખેડૂત તરીકેની નામના મેળવનાર શિવલાલભાઈ ડાંગર માત્ર પોતા માટે જ નહીં અન્ય ખેડૂતોને પણ પોતાના જેવી ઝીરો બજેટ ખેતી અપનાવવા સલાહ આપી અન્ય ખેડૂતોને વિનામૂલ્યે ઓર્ગેનિક વેસ્ટ ડી કંમ્પોઝ ભેટ આપી રહ્યા છે.

- text