ટંકારા રામમય બન્યું : રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે 

- text


શહેરભરમાં ધજા-પતાકાથી લગાવાયા, ચોક ખાતે અયોધ્યા નિજ મંદિર થીમ ઉપર પંડાલ ઉભો કરાયો

મહોત્સવની પૂર્વ સંધ્યાએ બાઈક રેલી તથા રાસ ગરબાનું આયોજન; રામનવમી એ ભવ્ય શોભાયાત્રા બાદ તમામ ભક્ત સમુદાય માટે ફરાળની વ્યવસ્થા કરાઈ

ટંકારા : ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ એકઠા થઈને આગામી 17 એપ્રિલને બુધવારે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરને ધ્વજા પતાકાથી સજાવાયુ છે, ચોક ખાતે અયોધ્યા નિજ મંદિર થિમ પર પંડાલ ઉભો કરાયો છે. સાથે પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના દિવસે ઘરના આંગણે આસોપાલવના તોરણ, ભગવી ધ્વજા બાંધી વિશાળ શોભાયાત્રામાં નગરજનો જોડાશે. શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા ઉપરાંત ઠેર ઠેર પાણી, ઠંડા પીણાનુ પણ આયોજન કરાયુ છે.

- text

રામ જન્મોત્સવ ઉજવવા ઉત્સવ સમિતિના કાર્યકરો દ્વારા તાલુકા અને નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં ધ્વજા પતાકા લહેરાવી, બજારો, માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી, સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો થયો છે. બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન માટે એક સુર વ્યક્ત કરાયો હતો. શોભાયાત્રા 17 તારીખે સવારે 9 :00 વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટથી ભગવાન રામની સવારીનો પ્રારંભ થશે. જે દેરીનાકા મેઈન રોડથી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે બપોરે 12 ના ટકોરે મહાઆરતી બાદ દયાનંદ સરસ્વતી ચોક ખાતે પંડાલમાં સમુહ આરતી કરી શોભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમાં પંડાલ, ઠંડાપીણા, સરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. શોભાયાત્રામાં જોડાનાર તમામ ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવાભાઇ અંદરપા પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્સવ સમિતિના કાયમી દાતાઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખુબ આર્થિક અને શ્રમ દાન સહયોગ પુરો પાડયો છે.

મહોત્સવની પુર્વ સંધ્યાએ એટલે કે આવતી કાલે 16 એપ્રિલ મંગળવારે બાઈક રેલી સાંજે 5:15 કલાકે દેરીનાકાથી નિકળી, આર્ય નગર સોસાયટી વિસ્તારથી, દેવિપુજક વિસ્તારથી, ગાયત્રી નગરથી, ધેટીયા વાસ અને બાદમાં ચોક ખાતે પુર્ણ થશે.

મહિલાઓ માટે રામ રાસ ગરબાનુ આયોજન

ટંકારા ઉત્સવ સમિતિ દ્વારા આવતીકાલે રાત્રે 8:30 વાગ્યે દયાનંદ સરસ્વતી ચોક ખાતે મહિલા માટે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા નિજ મંદિર થિમ પર ચોકમાં પંડાલ તૈયાર કર્યો છે ત્યારે 16 તારીખે વિશેષ કાર્યકમ યોજાશે.

- text