મોરબી દેશના અર્થતંત્રને તાકાત આપનારૂ, ઉદ્યોગોના પ્રશ્નો માટે અડધી રાતે દરવાજો ખખડાવવાની છૂટ : રૂપાલા

- text


મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાની આગવી છટામાં સભા ગજાવી : સભાની વચ્ચે-વચ્ચે હાસ્યની છોડો પણ ઉઠી

મોરબી : મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે પોતાના આગવા અંદાજમાં સભા ગજાવી હતી. જેમાં તેઓએ કહ્યું કે મોરબી દેશના અર્થતંત્રને તાકાત આપનારૂ મહત્વનું સેન્ટર છે. ઉદ્યોગોના પ્રશ્નો માટે અડધી રાતે દરવાજો ખખડાવવાની છૂટ છે.

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા શનાળા ખાતે શક્તિમાંના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી યુવા ભાજપ આયોજિત રેલીમાં જોડાયા હતા. બાદમાં ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે સિરામિક એસોસિએશનની આગેવાનીમાં ઉદ્યોગકારો દ્વારા યોજાયેલ સભામાં તેઓએ હાજરી આપી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

સભામાં પરસોત્તમ રૂપાલાએ સંબોધનમાં જણાવ્યું કે ભારત ચાઇના સાથે હરીફાઈ કરી રહ્યું છે. તેમાં મોરબીના ઉદ્યોગો ચાઈનાને હંફાવી રહ્યા છે. ઉદ્યોગોના લીધે અનેક નાના માણસોના રસોડા ચાલે છે. એટલે ઉદ્યોગોના કોઈ પણ પ્રશ્ન હશે અમારા દરવાજા અડધી રાતે પણ ખખડાવજો. વધુમાં તેઓએ જણાવ્યું કે અગાઉ સરપંચને ખાલી સરકારી નોટિસો જ મળતી હતી. પણ હવે સરપંચને પૈસા પણ મળે છે. વડાપ્રધાન મોદીએ એવી વ્યવસ્થા ગોઠવી કે સરપંચને કોઈની પાસે જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની તિજોરીમાંથી જ સીધા પૈસા મળે છે.

રૂપાલાએ કહ્યું કે ઘણા વિદેશી મીડિયાએ કહ્યું હતું કે ભારત ગીચ વસ્તી ધરાવતો દેશ છે. ત્યાં કોરોનાથી નહિ મરે એટલા ભૂખથી મરી જશે. પણ વડાપ્રધાન મોદીએ 80 કરોડ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે મફત અનાજ વિતરણ શરૂ કરાવ્યું. તેઓએ ઉમેર્યું કે ખેડૂતોને રૂ.6000ની સહાય શરૂ કરવામાં આવી ત્યારે ઘણા લોકો કહેતા હતા કે આટલા રૂપિયામાં શુ થાય. આજે એ સહાયનો કુલ આંકડો રૂ.1.80 લાખ કરોડે પહોંચી ગયો છે. ભૂતકાળમાં 50 વર્ષ સુધી ખેડૂતોના દીકરાને 8 કિમિ દૂર ખેતીની જમીન ન મળે તેવા કાયદા હતા. અત્યારે ગમે ત્યાં ઉદ્યોગ માટે જમીન ખરીદો અને તમામ સુવિધાઓ મેળવી શકાય છે.

રૂપાલાએ જનધન ખાતા વિશે જણાવ્યું કે વિશ્વમાં ક્યાંય એવી સુવિધા નથી કે ઝીરો બેલેન્સમાં ખાતું ખુલે. ભારતમાં આવા 50 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આપણું અર્થતંત્ર 11માં નંબરે હતું. હવે પાંચમા નંબરે પહોંચી ગયું છે. જે ઇંગ્લેન્ડે આપણા ઉપર રાજ કર્યું હતું તેને પણ આપણે પાછળ છોડી દીધું છે. હવે મોદીજી કહે છે કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા નંબરે પહોંચાડી દઈશ. આખું વિશ્વ હવે માને છે કે મોદી જે કહે છે તે કરે છે. સિવાય કે 7-8 વ્યક્તિ માનતા નથી.

આ સભામાં સુરેન્દ્રનગર ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી, જયંતિભાઈ પટેલ, જયંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવીયા, કે.એસ. અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ કુંડારિયા, કિરીટ પટેલ, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, નિલેશ જેતપરિયા, જીઆઇડીસી એસો. ના પ્રમુખ અમિત કસુન્દ્રા, પેપરમિલ એસો. પ્રમુખ વિપુલ કોરડીયા, મીઠા ઉદ્યોગના જ્યૂભા જાડેજા, બિલ્ડર એસો. સંતોષ સેરશિયા, સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળના નિલેશભાઈ કુંડારીયા સહિત ઉદ્યોગકારો તેમજ વિવિધ જ્ઞાતિના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text