દેશના સૂતેલા આત્માને જગાડવા સૌરાષ્ટ્રની ભૂમિએ સાચી દિશા બતાવી : રાષ્ટ્રપતિ

- text


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ટંકારા ખાતે મહર્ષિ દયાનંદના 200મા જન્મોત્સવ – સ્મરણોત્સવમાં ગરિમામય ઉપસ્થિતિ : જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ

મહર્ષિ દયાનંદજીએ જગાવેલી ચેતનાથી રૂઢિઓ અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો : મહર્ષિ દયાનંદજીએ રચેલા ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ અને મહાત્મા ગાંધીજીએ લખેલી ‘સત્યના પ્રયોગો’ માનવજાતને પ્રેરણા આપતી રહેશે : રાષ્ટ્રપતિ

મોરબી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ–સ્મરણોત્સવ કાર્યક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિમાં સાકાર થનાર જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમણે યજ્ઞમાં આહુતિ પણ આપી હતી.

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા આયોજિત આ સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં આર્યસમાજના સ્વયંસેવકો, લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિ-દિવસીય સ્મરણોત્સવના સમાપનમાં બોલતાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદજીની આ 200મી જન્મજયંતી સમગ્ર દેશ માટે ઐતિહાસિક અવસર છે. આપણી ભારત ભૂમિ ધન્ય ભૂમિ છે, જેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી અદભૂત વિભૂતિઓને જન્મ આપ્યો છે. આધ્યામિક પથપ્રદર્શક અરવિંદે મહર્ષિ દયાનંદ વિશે કહ્યું હતું કે, તેઓ મનુષ્ય અને સંસ્થાનોના મૂર્તિકાર હતા. આજે આર્ય સમાજના 10 હજાર જેટલા કેન્દ્રો માનવતાના વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત છે.

તેમણે કહ્યું હતું કે, લોકમાન્ય તિલક, લાલા હંસરાજ, લાલા લાજપતરાય જેવા મહાન ક્રાંતિકારીઓ પર સ્વામીજીના આદર્શોનો ગાઢ પ્રભાવ હતો. સ્વામીજી અને તેમના અસાધારણ અનુયાયીઓએ દેશના લોકોમાં નવી ચેતનાના આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. કાઠિયાવાડની ધરતીની વિશેષતાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ પછીની પેઢીઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. સ્વામીજીએ સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું હતું અને ‘સત્યાર્થ પ્રકાશ’ નામના અમર ગ્રંથની રચના કરી હતી. તો મહાત્મા ગાંધીજીએ ભારતીય રાજનીતિમાં જન-જનને જોડવા સાથે તેને આધ્યાત્મિક આધાર આપ્યો અને ‘સત્યના પ્રયોગો’ ની રચના કરી. આ બંને ગ્રંથ આપણા દેશવાસીઓનું જ નહીં, માનવતાનું માર્ગદર્શન કરતા રહેશે. કાઠિયાવાડમાં જન્મેલા આ બંને મહાપુરુષોના જીવનથી દેશવાસીઓ અને સમગ્ર માનવ જાતને પ્રેરણા મળતી રહેશે. દેશના સૂતેલા આત્માને જગાડવા, સમાજને ઉન્નતિ તથા સમાનતાના આદર્શોને જોડવા અને દેશવાસીઓમાં આત્મગૌરવની ભાવનાનો સંચાર કરવામાં સૌરાષ્ટ્રની આ ભૂમિએ સમગ્ર રાષ્ટ્રને સાચી દિશા બતાવી છે.

મહર્ષિ દયાનંદજીની સમાજ સુધારણા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહર્ષિએ 19મી સદીમાં ભારતીય સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસો અને કૂરીતિઓને દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું હતું. તેમણે જગાવેલી ચેતનાથી રૂઢિઓ અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો છે, આ સાથે તેમણે પ્રસરાવેલો જ્ઞાનનો પ્રકાશ ત્યારથી લઈને આજ સુધી દેશવાસીઓનું માર્ગદર્શન કરતો રહ્યો અને આગામી દિવસોમાં પણ કરતો રહેશે. સ્વામીજીએ બાળવિવાહ અને બહુપત્નીત્વ પ્રથાનો આકરો વિરોધ કર્યો હતો. તેઓ નારીશિક્ષણ, નારી સ્વાભિમાનના પ્રખર હિમાયતી હતા. આર્ય સમાજ કન્યા વિદ્યાલયો અને છાત્રાઓ માટે ઉચ્ચશિક્ષણ સંસ્થાનોની સ્થાપના દ્વારા મહિલા સશક્તિકરણમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી માનતા હતા કે, અસ્પૃશ્યતા દૂર કરવા માટે મહર્ષિ દયાનંદજીનું અભિયાન સમાજ સુધારણા માટે ખૂબ મહત્ત્વનું હતું. ગાંધીજીએ પણ મહર્ષિના એ અસ્પૃશ્યતા નાબૂદીના અભિયાનને સર્વાધિક મહત્વ આપ્યું હતું. આવતા વર્ષે આર્ય સમાજની સ્થાપનાને 150 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આર્ય સમાજ સાથે જોડાયેલા તમામ લોકો સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવવા સ્વામીજીના વિચારને કાર્યરૂપ આપવા સતત આગળ વધતા રહેશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સ્વામીજીના માનવતા અને સર્વ સમાવેશકતાના આદર્શને અનુસરતા દેશના જનજાતીય વિસ્તારોમાં વિદ્યાલયો ચલાવવામાં આવે છે. આદિવાસી યુવાઓ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો ચલાવવામાં આવે છે. આ સ્કૂલો અને કેન્દ્રો સાથે નિઃશુલ્ક આવાસ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને બિદરાવતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, આચાર્ય દેવવ્રજી પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં અમૂલ્ય માર્ગદર્શન કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી એ માનવતાના ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. સ્વચ્છ જળ અને ફળદ્રુપ માટી વિના શરીર સ્વસ્થ નહીં રહી શકે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવામાં પણ મદદ મળશે.

- text

રાષ્ટ્રપતિએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મોત્સવ પ્રસંગે ટંકારા આવવા મળ્યું તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. સમગ્ર દેશવાસીઓ તરફથી તેમણે આ પાવન ભૂમિ અને મહર્ષિ દયાનંદજીને વંદન કર્યા હતા. તેમણે આ સમારોહના આયોજન બદલ દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ – ટંકારા તથા તમામ આર્ય સંગઠનોની સરાહના કરી હતી.

રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુ મુખ્ય સમારોહ પૂર્વે આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓને મળ્યાં હતાં તેમજ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે સર્વે પ્રતિનિધિ મંડળને શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આર્ય સમાજ દ્વારા સમારોહ સ્થળે આયોજિત યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. આ વેળાએ રાજ્યપાલએ પુષ્પવર્ષા કરીને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

રાષ્ટ્રપતિએ મહર્ષિ દયાનંદજીના જીવન-કવન પર આધારિત પ્રદર્શન નિહાળી હતી. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, રેન્જ આઈ.જી. અશોક યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, આર્ય સમાજના અગ્રણી સર્વ ધર્માનંદજી મહારાજ, સુરેશચંદ્ર આર્ય, વિનય આર્ય તેમજ આર્ય સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text