મોરબીની નાની બજારમાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન

- text


છેલ્લા 6 મહિનાથી ગટરને કારણે રોગચાળાનું જોખમ હોવા છતાં તંત્રની આંખ ન ઉડી

મોરબી : મોરબીમાં ગત આખું વર્ષે ગટર ઉભરવાની સમસ્યાથી લોકો પીડાતા રહ્યા હતા. ત્યારે હવે દિવાળી પછી નવું વર્ષ શરૂ થતાં લોકોને હવે આ ગટરની સમસ્યાથી હેરાન નહીં થવું પડે એવી આશા હતી. પણ તંત્રના પાપે નવા વર્ષે પણ ફિર વોહી રફતારની જેમ ગટર ઉભરાવવાની હૈયાહોળી યથાવત રહી છે. તેથી તંત્ર પ્રત્યે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

મોરબીના મુખ્ય બજાર વિસ્તાર ગ્રીનચોક દરબારગઢ પાસે આવેલી સાંકડી નાની બજાર પાસે રહેતા લોકોએ તંત્ર ઉપર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, નાની બજારમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાય રહી છે. આ ગટર ઉભરાતા આસપાસના વિસ્તારો અને રોડ ઉપર ગંદા પાણી ફરી વળ્યાં છે. ગટરના ગંદા પાણીને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ સર્જાયું છે. જો કે સ્થાનિકોએ પાલિકા તંત્રને ઢંઢોળવા રજુઆત કરવામાં કઈ બાકી રાખ્યું નથી. રહીશોએ પાલિકા તંત્રને રૂબરૂ અને લેખિતમાં અનેક વખત રજુઆત કરી હોવા છતાં તંત્રની હજુ ઊંઘ ઊડી નથી.વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે તંત્રને રજુઆત કરીએ ત્યારે ત્યારે થઈ જશે એવા જ ઠાલા આશ્ર્વાસન આપે છે. જેથી હવે ગટરની સમસ્યાએ માજા મૂકી છે. આથી તંત્ર ઠાલા વચનો આપવાનું બંધ કરી આ ગટરની સમસ્યા હલ કરવા નક્કર કાર્યવાહી કરે તેવી રહીશોએ માંગ કરી છે.

- text

- text