જૂની પેન્શન યોજના બાબતે ગાંધી જયંતીએથી મોરબીમાં શિક્ષકોનું આંદોલન

- text


મોરબી : જૂની પેન્શન યોજના લાગુ કરાવવા બાબતે લડત આપી રહેલા શિક્ષકો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને ગાંધી જયંતીના દિવસે મોરબીમાં આંદોલનની ફરીથી શરૂઆત કરવામાં આવનાર છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત પ્રાંત પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ઓનલાઈન બેઠકમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. જેથી આગામી તારીખ 2 ઓક્ટોબરને ગાંધી જયંતીના રોજ મોરબીમાં મોટી સંખ્યામાં શિક્ષકો આ સભા-રેલીમાં જોડાશે અને આંદોલનની ફરીથી શરૂઆત કરશે. 2જી ઓક્ટોબરે સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પરના સરદાર બાગ ખાતેથી આંદોલનની શરૂઆત થશે.

આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે આગામી તારીખ 2 ઓક્ટોબર 2023ના રોજ તમામ જિલ્લા કક્ષાએથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી સરકાર સમક્ષ કર્મચારીઓની માંગણીઓ રજૂ કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તેમજ કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવી કે 2005 પહેલાના કર્મચારીઓને સરકારે સ્વીકાર્યા મુજબ તાત્કાલિક પરિપત્ર કરી, જૂની પેન્શન યોજના લાગુ કરે, હાલમાં જે NPS માં છે તે તમામ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા સરકાર નક્કર પગલાં લે, NPS માં 10% ની સામે 14% ફાળાનો ઠરાવ ટૂંક સમયમા જાહેર થાય, માતૃશકિત માટે 1998 ની પ્રસૂતિ રજા સંદર્ભે નિરાકરણ આપે, 4200 ગ્રેડ પે, બદલી પામેલા મિત્રોને 100% છૂટા કરવા જેવા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવા માટે એક મજબૂત આંદોલનની રાહ કંડારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સમગ્ર બેઠકનું સુકાન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત ટીમના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેષભાઈ ગોપાણીએ શૈક્ષિક મહાસંઘની ગરિમાને ધ્યાનમાં રાખી કર્મચારીઓએ શિક્ષકોએ પોતાની માંગણી મૂકવી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર-મોરબી વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડો. લાભુબેન કારાવદરાએ આ સભામાં ખુબજ મોટી બહોળી સંખ્યામાં બહેનોને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સમગ્ર કાર્યક્રમનું સ્વરૂપ સમજાવતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતીના દિવસે સૌએ સરદારબાગ-મોરબી ખાતે સવારે 9.00 વાગ્યે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થવું. દશ જેટલા શિક્ષકો મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે સભા-રેલીમાં આગળ રહેશે. મહાસંઘના નક્કી કરેલા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપશે. નારાઓ બોલશે. ત્યારબાદ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા મહાત્મા ગાંધીજી અને અન્ય દેશનેતાઓને સુતરની આંટી પહેરાવી માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરીને માંગણીઓ બુલંદ કરવામાં આવશે. ઓનલાઈન બેઠકમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાના અધ્યક્ષ, મંત્રીઓએ પણ પોતાના સુજાવો અને સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં સર્વે કારોબારી મિત્રોએ પોતાના વિચારો રજૂ કરી આ આંદોલનને એક સફળ આંદોલન બનાવી શિક્ષક સહિત તમામ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને નિરાકરણ લાવવા કટિબદ્ધતા દાખવી હતી. બેઠક અંત ભાગમાં હિતેશભાઈ ગોપાણી દ્વારા કલ્યાણ મંત્ર સાથે બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર ઓનલાઈન બેઠકનું સફળ સંચાલન હિતેશભાઈ પાંચોટીયા સહ સંગઠન મંત્રી જિલ્લા ટીમએ કર્યું હતું.

મહત્વનું છે કે, ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે આગામી તારીખ બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી રહી છે.

- text