ઘરડા માતાપિતાને હેરાન કરનારા સંતાનો ચેતજો : નવો કાયદો ટૂંક સમયમાં

- text


મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન અમેન્ડમેન્ટ બિલ’ (MWPSC) સંસદમાં મોન્સૂન સત્રમાં રજૂ કરવામાં આવશે

મોરબી : માતાપિતાને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આજની કડવી વાસ્તવિકતા એ પણ છે કે, કેટલાક લોકોને ઘરડા મા-બાપ બોજો લાગે છે. જે મા-બાપે પેટે પાટા બાંધી ઉછેર્યા, જેમણે ભણાવી-ગણાવીને નોકરી કરવા માટે લાયક બનાવ્યા, તેમની ઘડપણની લાકડી બનવાનો જ્યારે વારો આવ્યો તો તેમને કાઢી મૂકવામાં આવે છે. કદાચ આપણા દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં આવું થઈ રહ્યું છે. પરંતુ મા-બાપને પરેશાન કરનારા સંતાનોની હવે ખેર નથી. કેન્દ્ર સરકારે ઘરડા લોકોના હિતમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે સંસદમાં રજૂ કરવા માટે બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. માતા-પિતાના ભરણ-પોષણ સાથે જોડાયેલો વર્તમાન કાયદો 2007માં (Senior Citizen Act)માં હવે 16 વર્ષ બાદ ફેરફાર કરવાની તૈયારી થઈ રહી છે. મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન અમેન્ડમેન્ટ બિલ’ (MWPSC) સંસદમાં મોન્સૂન સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.

મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન અમેન્ડમેન્ટ બિલમાં પરિવાર તરફથી વૃદ્ધો અને માતા-પિતાને છોડવા તેમજ તેમની સાથે મારઝૂડથી બચાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર સિવાય આ આખા દેશમાં લાગુ કરવામાં આવશે. આમ તો હિમાચલ પ્રદેશમાં પહેલાથી આ પોતાનો કાયદો છે.ખાસ વાત તો એ છે કે, પ્રસ્તાવિક કાયદો દેશ બહાર રહેતા ભારતીય નાગરિકો પર પણ લાગુ થશે. બિલમાં દરેક જિલ્લામાં વૃદ્ઘોની સુરક્ષા માટે સ્પેશિલ પોલીસ સેલ બનાવવાની તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં એક ASI રેંકના નોડલ અધિકારીની નિયુક્તિ કરવાની જોગવાઈ છે. તેના અમલની જવાબદારી રાજ્યોની હશે. રાજ્યોમાં પહેલાથી જ પોલીસકર્મીઓની કમી છે ત્યારે આ એક પડકાર રહેશે.

- text

પ્રસ્તાવિત બિલમાં એકલા રહેતા વૃદ્ધોનું લિસ્ટ તૈયાર કરવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. સંસદીય સમિતિની ભલામણ બાદ બિલમાં ફેરફાર કરાયા છે. દરેક પોલીસ સ્ટેશનમાં એકલા રહેતા વૃદ્ધોનું લિસ્ટ તૈયાર થશે.આજના સમયમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધોની સંપત્તિ હડપવાના કિસ્સા વધ્યા છે. તેવામાં પોલીસ સ્ટેશન સ્તર પર સુરક્ષા તંત્રને તૈયાર હોવાથી વૃદ્ધોને ફાયદો થશે. તમામ રાજ્યોમાં વૃદ્ધોની મદદ માટે 24/7 હેલ્પલાઈન તૈયાર કરવાની જોગવાઈ છે. ઘણીવાર તેવું જોવા મળે છે કે, બાળકો મા-બાપને છોડી દે છે અથવા એટલો ઓછો ખર્ચ આપે છે કે તેથી તેમનું જીવન આરામથી પસાર થતું નથી. તેવામાં બાળકોની હેસિયત પ્રમાણે ભરણ-પોષણની રકમ નક્કી કરવાની ભલામણ કરાઈ છે હાલ આ લિમિટ 10 હજાર રૂપિયા છે.

મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે કે, દરેક જિલ્લામાં વૃદ્ધોની ફરિયાદ દૂર કરવા માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરાશે, ખાસ કરીને તેમના માટે જેમના પરિવારજનો સરખી રીતે જમવાનું, રહેવા માટે ઘર, કપડા અને દવા આપતા નથી. ટ્રિબ્યુનલમાં 90 દિવસની અંદર ફરિયાદનું સમાધાન કરવાનું રહેશે. ઘરથી કાઢી મૂકવામાં આવેલા વૃદ્ધો અથવા વરિષ્ઠ નાગરિક ટ્રિબ્યુનલ જઈ શકશે અને તેમના બાળકો અથવા કાયદાકીય ઉત્તરાધિકારીને આદેશ અપાશે.

- text