- text
સૌરાષ્ટ્ર નળિયાના કારખાનેદાર વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની ફરિયાદ
મોરબી : મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં કામ કરતા શ્રમિકે બે મહિનાથી પગાર ન થયો હોય કારખાના માલિકને પગાર આપવા કહેતા માલિક શામજીભાઈએ મંદી છે પગાર નહિ મળે કહી શ્રમિકના આંગળા મરડી નાખી જાતિ પ્રત્યે હડધૂત કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાઇ છે.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં કામ કરતા જેસિંગભાઈ ખીમાભાઈ મકવાણા ઉ.53 નામના આધેડને બે માસથી પગાર ન મળ્યો હોય તેઓ કારખાનાના માલિક શામજીભાઈ ખોડાભાઈ પટેલ રહે.લીલાપર વાળા પાસે પગારના પૈસા માંગવા ગયા હતા. જેથી ઉશ્કેરાઈ ગયેલ શામજીભાઈએ કહ્યું હતું કે, મંદી ચાલે છે, પગાર નહિ થાય ઉતાવળ હોય તો ઓરડી ખાલી કરીને બીજે કામે જતા રહો તેમ કહી મૂંઢ માર મારી હાથની આંગળીઓ મરડી નાખી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text