રાહત ! આગામી 10-12 દિવસમાં કોરોના હળવો થશે

- text


આરોગ્ય મંત્રાલયે આપ્યા રાહતના સમાચાર

મોરબી : ગુજરાત સહિત દેશભરમા કોરોના વાયરસના નવું રૂપ તરખાટ મચાવી રહ્યું છે અને રોજેરોજ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના નવા કેસ આગામી દસ કે બાર દિવસમાં ઘટવા લાગશે તેવા નિર્દેશ આપ્યા છે.

આઇએમ ગુજરાત સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ આરોગ્ય મંત્રાલય તરફથી જણાવાયું છે કે, આગામી 10-12 દિવસ સુધી કોરાના વાયરસના કેસોમાં વધારો જોવા મળશે અને ત્યાર પછી ધીમે-ધીમે સંખ્યા ઘટતી જશે, તેમ આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે. વાયરસ જ્યારે એન્ડેમિક સ્ટેજમાં આવી જાય છે ત્યારે મોટી સંખ્યામાં વેરિયંટ્સ પેદા કરે છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયંટ સૌપ્રથમવાર 2021માં જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં તેના XBB.1.16 અને XBB.1.5 સહિતના 1000થી વધુ સબ-વેરિયંટ આવ્યા છે.

INSACOG (ઈન્ડિયન સાર્સ-CoV-2 જેનોમિક્સ કોન્સોર્ટિયમ (ભારતમાં વાયરસના વેરિયંટ પર નજર રાખતી સંસ્થા))ના કો-ચેરમેન ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું કે, XBB.1.16ના કારણે કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા પણ ઓછી છે. એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓ પણ એવા જ છે કે, જેમને અગાઉથી કોઈ ગંભીર બીમારી હોય અને બાદમાં વાયરસથી સંક્રમિત થયા હોય.

- text

ડૉ. અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે, વાયરસની જૈવિક વર્તણૂક અંગે ધારણા બાંધી શકાય તેમ નથી અને સીવિયર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (SARI)ના કારણે દાખલ થતાં દર્દીઓ પર સતત નજર રાખવી જરૂરી બની જાય છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી સુધી દેશમાં રોજ કોરોનાના 120થી 140 કેસ નોંધાતા હતા. પરંતુ લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો દૈનિક કેસોનો આંકડો 7 હજારને પાર પહોંચ્યો છે. કેટલાય રાજ્યોએ નાગરિકોને જાહેરસ્થળોએ માસ્ક પહેરવાની સૂચના આપી છે. ઉપરાંત ગંભીર સ્થિતિ આવી પડે તો તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવા હોસ્પિટલોને સૂચના અપાઈ છે ત્યારે વર્તમાન સ્થિતિ જોતા આગામી દસ-બાર દિવસમાં કોરોના કેસમાં રાહત મળે તેમ હોવાનું તેમને જણાવ્યું હતું.

- text