સંતાનમાં દીકરો ન થતા પતિના મેણા ટોણાથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાધો

- text


નેકનામ ગામે પરિણીતાના આપઘાતના કિસ્સામાં સાસુએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ટંકારા : ચારેક દિવસ પહેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર પરિણીતાના માતાએ પોતાની પુત્રીને સંતાનમાં દીકરો ન હોય જમાઈના મેણા ટોણાથી કંટાળી ગળેફાંસો ખાઈ લીધો હોવા મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.14ના રોજ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અરુણાબેન હસમુખભાઈ લોરીયા નામના બે પુત્રીના માતા એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક અરુણાબેનના છતર ગામે રહેતા માતા વેલુબેન લાભુભાઈ પરમારે ટંકારા પોલીસ મથકમાં તેમના જમાઈ હસમુખ ઉર્ફે અશોક મનજી લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં વેલુબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, મૃતક અરુણાબેનને સંતાનમાં માત્ર બે દીકરીઓ જ હોય પતિ હસમુખ ઉર્ફે અશોક દીકરા બાબતે અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી અરુણાબેનને મરવા મજબુર કરતા જ અરુણાબેને ગળેફાંસો ખાઈ લીધો હોય આરોપી જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ટંકારા પોલીસે વેલુબેનની ફરિયાદને આધારે આરોપી હસમુખ ઉર્ફે અશોક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text