- text
જરૂરિયાતના સમયે પૂરતા પ્રમાણમાં મચ્છુ-1માંથી પાણી આપવાની માંગ સાથે મામલતદારને રજુઆત
ટંકારા : ટંકારાના ચાર ગામોને પિયત માટે મચ્છુ-1માંથી મન પડે ત્યારે પાણી આપી અને બંધ કરી દેવામાં આવતું હોવાથી ખેડૂતોને પાક બચાવવો મુશ્કેલ પડી ગયો છે. આથી જરૂરિયાતના સમયે પૂરતા પ્રમાણમાં મચ્છુ-1માંથી પાણી આપવાની માંગ સાથે મામલતદારને રજુઆત કરવામાં આવી છે.
- text
ટંકારાની અમરાપર ગ્રામ પંચાયતે મામલતદારને લેખિતમાં રજુઆત કરી હતી કે, ટંકારાના કોઠારીયા, અમરાપર, ટંકારા સહિત ચાર ગામોના ખેડૂતોને પિયત માટે મચ્છુ-1 ડેમની કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે. પણ આ ગામોના ખેડૂતોને જ્યારે પાકની પિયત માટે પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી એટલે કેનાલમાંથી મન પડે ત્યારે જ પાણી આપવામાં આવે છે અને મન પડે ત્યારે પાણી બંધ કરી દેવામાં આવે છે. હાલ રવિ સિઝન હોય ઘઉં, જીરું સહિતના પાકના વાવેતર માટે પાણીની સખત જરૂરુત હોય પણ હાલ મચ્છુ કેનાલમાંથી પાણી આપવાનું બંધ હોય ખેડૂતોને પાકનું પિયત કરવામાં મુશ્કેલી પડે છે. આથી સંબધિત તંત્ર આવી મનસ્વી નીતિ બંધ કરીને જરૂરિયાતના સમયે મચ્છુ-1 ડેમની કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.
- text