પ્રમુખસ્વામી મહારાજનગરમાં સંધ્યા સભા – ‘સંવાદિતા દિન’ની ઉજવણી

- text


સમગ્ર વિશ્વમાંથી અનેકવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓએ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક મંચ ઉપર ઉપસ્થિત રહી આંતરધર્મીય સંવાદિતાને ઘૂંટાવી

મોરબી : આજે મહોત્સવના છટ્ઠા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ આજના ‘સંવાદિતા દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા. ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાના દૂત એવા પ્રમુખસ્વામી મહારાજને યુવાવૃંદ દ્વારા વિશિષ્ટ નૃત્ય દ્વારા અંજલિ આપવામાં આવી હતી. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજના સંવાદિતાનાં વૈશ્વિક કાર્યોને અને તેઓની ઉદાત્ત જીવનભાવનને દર્શાવતી વિડીયો પ્રસ્તુત થઈ હતી.

હિન્દુ, જૈન બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી કે અન્ય કોઈપણ ધર્મો અને સંપ્રદાયો પ્રતિ પ્રમુખસ્વામી મહારાજે હંમેશા આદર દાખવ્યો હતો. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિને પ્રમુખસ્વામી મહારાજની અક્ષુણ્ણ સાધુતા, અહંશૂન્યતા, પમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, નિષ્કલંક ચારિત્ર્ય, પવિત્રતા અને નિ:સ્વાર્થ ભાવનાઓ સ્પર્શી હતી. આજની આ વિશિષ્ટ સભામાં BAPS સંસ્થાના પૂ. અક્ષરવત્સલ સ્વામી અને પૂ. અક્ષરાતીત સ્વામીએ સર્વે અગ્રણીઓનો પરિચય કરાવ્યો હતો.

BAPS સંસ્થાના પૂ. અક્ષરવત્સલ સ્વામી અને પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની વિશ્વધર્મ સંવાદિતાની ભાવનાને દર્શાવતું વક્તવ્ય આપ્યું હતું. આજના વિશિષ્ટ સંધ્યા કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેકવિધ ધર્મ- પરંપરાઓમાંથી ઉપસ્થિત પ્રતિનિધિઓએ સાધુતાના ગૌરીશિખર સમાન પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રમુખસ્વામી મહારાજના આંતરધર્મીય સંવાદિતાનાં વૈશ્વિક કાર્યો અને ઉદાર જીવનશૈલીનું સ્મરણ કર્યું હતું. આ પ્રસંગે યુવા મંડળ દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આજના કાર્યક્રમમાં બાવા જૈન- સેક્રેટરી જનરલ- વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સ , પૂ. સદગુરુ ઉદયસિંઘજી મહારાજ- અધ્યક્ષ- નામધારી શીખ સમાજ, પ્રો. ડૉ ચિરાપત પ્રપંડવિદ્યા-સ્થાપક, સિલ્પકોર્ન યુનિવર્સિટી- થાઈલેન્ડ, આચાર્ય ડૉ. લોકેશમુનિજી- સ્થાપક પ્રમુખ-અહિંસા વિશ્વ ભારતી, પૂ. ભિખ્ખુ સંઘસેના, સ્થાપક પ્રમુખ- મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર, રબ્બી એઝેકેઇલ આઇઝેક માલેકર- અગ્રણી- યહૂદી સમાજ, સાદીકવલ-આઇદિઝ-ઝહાબી ભાઈસાહેબ જલાલુદ્દીન- દાઉદી વ્હોરા સમાજ, આર્કબિશપ થોમસ મેકવાન- આર્કડાયૉસેસ ઓફ ગાંધીનગર, પદ્મશ્રી એ. આઈ. ઉદયન- ગાંધીપુરી આશ્રમ- ઈન્ડોનેશિયા, પૂ. પરમાત્માનંદજી- સ્થાપક આચાર્ય-આર્ષ વિદ્યા મંદિર, પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબજી- સ્થાપક-પારસધામ, હિઝ એક્સેલન્સી અબ્દુલ રહમાન બુ અલી- અગ્રણી વિચારક- બાહરીન, પ. પૂ. સ્વામી અવધેશાનન્દજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text