હવે શિક્ષકો જિલ્લા ફેરબદલીની અરજી ૧૦ને બદલે ૫ વર્ષે કરી શકશે

- text


 

  • વધ- ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયેલા શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો ત્યાં બદલીની માંગણી કરી શકશે

  • જીલ્લાની ૧૦૦ ટકા ખાલી જગ્યા પર ફેરબદલીનો લાભ મળશે : શિક્ષકોની ફરિયાદના નિવારણ માટે સમિતિની રચના

મોરબી: રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.

શિક્ષણ મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, દશ વર્ષ પહેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતા. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજુઆતો થઇ હતી એ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યા છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ ૧૦ ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.

મંત્રીએ ઉમેર્યું કે અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.

- text

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.

મંત્રી વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે.

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારના નિર્ણયોને આવકાર

રાજય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો બદલ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વતિ રાજય સરકાર, શિક્ષણ વિભાગ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ ,મહામંત્રી રતુભાઈ ગોળ નો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા,સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા અને હરદેવભાઈ કાનગડ સહિત તમામ તાલુકા સંગઠન દ્વારા વર્ષોથી પેન્ડિગ રહેલા પ્રશ્નો અને વર્ષોથી બદલીના હુકમ સાથે લઈને ફરતા પણ 10% વાળા નિયમના કારણે છુટા ન્હોતા થઈ શકતા એવા શિક્ષકોમાં હર્ષ અને આનંદની લાગણી થયેલ છે એમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text