મોરબીમાં બિયારણનું ગેરકાયદે વેચાણ માલુમ પડશે તો પેઢીનું વેચાણ લાયસન્સ રદ કરાશે

- text


નાયબ ખેતી નિયામક (વિ.)ની મોરબી જિલ્લાના બિયારણ વિક્રેતાઓને વિવિધ સુચનાઓ અપાઇ

મોરબી : ખેડૂતો માટે હાલમાં વાવણીની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને નિયત કિંમતે બિયારણ મળી રહે તે માટે મોરબીના નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા જિલ્લાના તમામ બિયારણ વિક્રેતાઓને સુચના પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ જરૂરી પ્રિન્સીપલ સર્ટી.નો ઉમેરો કર્યા બાદ જ સરકાર માન્ય બિયારણનું વેચાણ કરવા જણાવ્યું છે.

વધુમાં, સરકાર માન્ય જાતો સિવાય અન્ય જાતોના બિયારણનું વિતરણ કે વેચાણ ન કરવા અને બિયારણ વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થાની ગોઠવવી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે જ કોઈપણ વિક્રેતાએ બિયારણના પેકેટ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે બિયારણ વિતરણ નહીં કરવા તથા કોઈપણ પ્રકારનું હલકી ગુણવત્તાવાળું અને અન-અધિકૃત બિયારણનું વેચાણ ન કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં બિયારણ વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહી.

- text

જિલ્લાના તમામ બિયારણ વિક્રેતાઓને બિયારણ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. બિયારણ વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું બિયારણ વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા પણ જણાવાયું છે.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બિયારણ વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનીટાઈઝર વિગેરેનો ઉપયોગ ફરજિયાત પણે થાય અને સોશીયલ ડિસ્ટન્સ જળવાય તેમજ કોવીડ-૧૯ બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતો વખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા નાયબ ખેતી નિયામક (વિ.) એસ.એ. સિણોજીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text