મોરબીમાં ચૂંટણી પ્રચારમાં હજુ ટાઢોળુ : મતદારો ઉદાસીન

- text


મતદારોને મનાવવા ભજીયા પાર્ટી, તાવા પાર્ટીના આયોજન શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના અકળ મૌન વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ તો કરી દેવામાં આવ્યા છે. પરંતુ મતદાન આડે હવે માંડ આઠ દિવસ બાકી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારો તો ઠીક શહેરી વિસ્તારમાં પણ હજુ પ્રચારનો માહોલ જામતો ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જોકે, મતદારોને મનાવવા હાલમાં ખાનગીમાં તાવા-ભજીયા પાર્ટીના આયોજનો પણ શરૂ થયા છે.

આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ મોરબી નગરપાલિકા,માળીયા મિયાણા પાલિકા અને વાંકાનેર પાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહીત કુલ 616 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોટાભાગના ઉમેદવારો દ્વારા હાલમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં મતદારો દ્વારા અકળ મૌન ધારણ કરી લેવાતા હજુ સુધી જોઈએ તેવો પ્રચારનો માહોલ બંધાયો નથી.

મોરબી શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે હજુ સુધી જાહેર સભા કે મિટિંગ-સીટિંગ હજુ શરુ કરાયા નથી પરંતુ નગરપાલિકાના લડવૈયાઓ દ્વારા પોતાના મત વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું છે અને મોટાભાગના ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તો પ્રચાર શરૂ કરાયો છે. જો કે, ભાજપના કેટલાક ઉમેદવારો દ્વારા મતદારોનો ટેલિફોનિક ડેટા મેળવી મતદારોને મત આપવા વિનંતી કરવામાં આવી રહી છે.

બીજી તરફ મતદારો સુધી પહોંચવા ચાવીરૂપ ભૂમિકા ભજવતા કાર્યકરોની હાલમાં મોરબીમાં બોલબાલા વધી ગઈ છે અને બળુકા કાર્યકરો કહે તે વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ખાનગીમાં તાવા પાર્ટી ભજીયા પાર્ટીના આયોજનો પણ શરૂ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

રવિવારે ભાજપ માટે રૂપાલા તો કોંગ્રેસ માટે બધેલ સભાઓ ગજાવશે

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલમાં ગરમાવો લાવી મતદારોને આકર્ષવા આગામી તા.21ને રવિવારના રોજ ભાજપના પ્રચાર માટે પરસોતમ રૂપાલા મોરબી આવી રહ્યા છે તેઓ રવાપર અને મહેન્દ્રનગર ખાતે જાહેરસભાને સંબોધન કરનાર છે તો બીજી તરફ કોંગ્રેસના પ્રચાર માટે પ્રદેશ કોંગ્રે અગ્રણી જીતેન્દ્ર બધેલ મોરબી આવી રહ્યા છે તેઓ પણ રવાપર તેમજ જિલ્લામાં અન્ય સ્થળોએ જાહેર સભાને સંબોધન કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text