મોરબી : વ્યાજે લીધેલા નાણા ચૂકવી દીધા છતાં વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી

- text


પાંચ વ્યાજખોર શખ્સોએ બળજબરીથી નાણા પડવવા ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરોના વધુ એક ત્રાસનો બનાવ સામે આવ્યો છે જેમાં કોલસાના વેપારીઓ ઉંચા વ્યાજ દરે લીધેલા નાણા વ્યાજ સાથે ચૂકવી દીધા છતાં પાંચ વ્યાજખોર શખ્સોએ બળજબરીથી વધુ નાણા કઢાવવા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવમાં પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામપાર્ક-1 બ્લોક નંબર 58 માં રહેતા મૂળ ટંકારાના ગજડી ગામના વતની અને કોલસાનો વેપાર કરતા મગનભાઈ રામભાઈ સોઢીયા (ઉ.વ.37) એ આરોપીઓ ભરતભાઇ સામંતભાઇ સોઢીયા,મગનભાઈ સામંતભાઇ સોઢીયા, કરણદાન ગઢવી, મનીષભાઈ જગદીશભાઈ, કિશનભાઈ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, કોલસાના વેપારીએ વર્ષ 2017 માં આરોપી ભરતભાઇ સામંતભાઇ સોઢીયા પાસેથી રૂ.15 લાખ પાંચ ટકાના વ્યાજદરે, આરોપી મગનભાઈ સામંતભાઇ સોઢીયા પાસેથી રૂ.25 લાખ માસિક સાત ટકાના વ્યાજદરે, આરોપી કરણદાન ગઢવી પાસેથી વર્ષ 2017-18 માં કટકે કટકે રૂ.20 લાખ દસ ટકાના વ્યાજદરે, આરોપી મનીષભાઈ જગદીશભાઈ પાસેથી રૂ.15 લાખ પંદર ટકાના વ્યાજદરે, આરોપી કિશનભાઈ રામાણી પાસેથી રૂ.8 લાખ પાંચ ટકાના વ્યાજદરે લીધા હતા.

- text

ફરિયાદીએ આ પાંચેય આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજદરે નાણા લીધા બાદ વ્યાજ તથા મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં આરોપીઓ ફરિયાદી પાસેથી વધુ નાણા પડવવા વ્યાજનું પણ વ્યાજ ચડાવીને પઠાણી ઉઘરાણી કરી હતી. જેમાં ગત તા.29 ના રોજ આરોપીઓએ મોબાઈલ ફોન ઉપર ફરિયાદીને ધાક ધમકી આપી તેમના ઘરે ગયા હતા અને ફરિયાદીના પત્ની પાસેથી વ્યાજની રકમ આપી દેવા દબાણ કરી પઠાણી ઉઘરાણી કરી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓ વારંવાર ફરિયાદીને ફોનમાં ધાક ધમકી આપતા હોવાથી આખરે તેમણે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદના આધારે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text