- text
નગરપાલિકા દ્વારા આરટીઓ પાસે મચ્છુ નદીમાં ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરાયુ
મોરબી : મોરબીમાં ‘અગલે બરસ તુમ જલ્દી આના’ના નાદ સાથે ભારે હૈયે વિધ્નહર્તાને વિદાય અપાઈ હતી. મોરબી નગરપાલિકા ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોરબી બાયપાસ પર આરટીઓ પાસે મચ્છુ નદીમાં ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરેલી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી દસ દિવસ સુધી ભક્તિભાવથી આરાધના કરીને આજે મોઘેરા મહેમાનને વિદાય આપી હતી.
મોરબીમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે ગણેશ મહોત્સવના કોઈ જાહેર આયોજનો થયા ન હતા. માત્ર દરેક લોકોએ પોતપોતાના ઘરે જ ગણપતિ દાદાની સ્થાપના કરી હતી. એક ફૂટથી માંડીને 3 ફૂટ સુધીની ગણપતિ દાદાની મૃતિઓનું ગણેશ ચતુર્થીના પાવન અવસરે દરેક લોકોએ ઘરોમાં સ્થાપન કર્યા બાદ દસ દિવસ સુધી નિયમિત સવાર સાંજ પૂજા અચના આરતી, અન્નકૂટ ભોગ સહિતના કાર્યક્રમો યોજી વિધ્નહર્તાની ભક્તિ કરી હતી. ત્યારે આજે ગણપતિ દાદાની વિદાયની ઘડી આવી પહોંચી હતી. જો કે મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન વખતે અમંગળ ઘટનાઓ ટાળવા માટે આરટીઓ પાસેની નદીમાં ગણેશજી મૃતિઓનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના 50 જેટલો સ્ટાફ, 8 આપદા મિત્રો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગણેશ વિસર્જન સ્થળે આજે સવારથી ગોઠવાયો હતો.
લોકો આજે ગણેશજીની મૃતિઓની આજે પૂજા અર્ચના કરીને પાલિકાની ટીમને સોંપી દીધી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા હાઇડ્રોલિક ક્રેઇન અને બે જેસીબીની મદદથી તમામ એકત્ર કરાયેલી ગણપતિ દાદાની મૂર્તિઓને નદીમાં પધરાવી દેવામાં આવી હતી. 250થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જો કે સ્થળ ઉપર સલામતી માટે લોકોને ગણેશ વિસર્જન કરવા જવા દેવાયા ન હતા. માત્ર પાલિકાની ટીમે જ લોકો પાસેથી સ્થળ ઉપર જ મૃતિઓ એકત્ર કરીને જાતે જ વિસર્જિત કરી હતી. જેથી અમંગળ ઘટના બની ન હતી.
- text
- text