મોરબીમાં આજે પણ પાન-માવા હોલસેલની મોટાભાગની દુકાનો બંધ રહી

- text


મોટી સંખ્યામાં લોકો પાન-માવાની ખરીદી માટે ઉમટી પડતા વેપારીઓએ દુકાનો બંધ કરી : વેપારીઓ જાણી જોઈને દુકાનો બંધ કરી કાળા બજાર કરતા હોવાની લોકોની રાવ

મોરબી : મોરબીમાં લાંબા સમય બાદ પાન-માવાની દુકાનોને ખોલાવીની શરતી મંજૂરી મળતાની સાથે જ બંધાણીઓએ મનોમન નિર્ણય કરી લીધો હતો કે બસ હવે બહુ થયું પાન-માવાના કાળા બજાર કરનારાઓને ખાટવા દેવા નથી અને કાળા બજારીઓથી હવે લૂંટાવું નથી, તેમ માનીને છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પાન-માવા ખરીદવા માટે ભારે પડાપડી કરી રહ્યા છે. મોરબી આજે પણ પાન-માવા ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે આજે પણ હોલસેલ અને છૂટકની અમુક જ દુકાનો ખુલી હતી. જેમાં પણ મસમોટી લાઈનો લાગતા એ દુકાનો પણ બંધ કરવી પડી હતી. જ્યારે બીજી બાજુ લોકોમાં ફરિયાદ ઉઠી છે કે વેપારીઓ જાણી જોઈને દુકાનો બંધ રાખી કાળા બજાર કરી રહ્યા છે.

મોરબીમાં આજે વહેલી સવારના 4 વાગ્યાથી જ પાન-માવાની હોલસેલની દુકાનોમાં બંધાણીઓએ લાઈનો લગાવી હતી. અને સવારના 8 વાગ્યા સુધીમાં અમુક દુકાનોમાં 500 થી વધુ લોકો એકઠા થઇ ગયા હતા. જોકે લાઈનો લાગવાની અવ્યવસ્થા સર્જાતી હોય સાવચેતીના ભાગરૂપે મોટાભાગના હોલસેલરો અને છૂટક પાન-માવા સિગારેટ તમાકુ, બીડીના ધંધાર્થીઓએ આજે પણ દુકાનો બંધ રાખી હતી. જેથી, માત્ર અમુક દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી અને હોલસેલના માત્ર 3 કે 4 વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી. અમુક જે દુકાનો ખુલી હતી જ્યાં લોકોની મોટી લાઈનો લાગી હતી. રેશનિંગ કરતા પણ પાન-માવા માટે મોટી લાઈનો લાગી હતી. જેથી, વેપારીઓએ લોકોની ભીડના કારણે દુકાનો બંધ કરી દીધી હતી.

હોલસેલની દુકાનો બહાર સવારના 4 વાગ્યાથી નાના વેપારીઓએ લાઈનો લગાવી પણ મોટા વેપારીઓ દુકાનો જ ના ખોલતા રોષ

મોરબીમાં પાન-માવાની હોલસેલની દુકાનોમાં પાન-માવા, સિગારેટ, બીડી ખરીદવા માટે વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ જ નાના વેપારીઓ અને લોકોએ લાઈનો લગાવી હતી. પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ મસમોટી લાઈનોમાં ઉભેલા લોકોને પાન-માવાનો માલ મળવાને બદલે માત્ર નિરાશા જ મળે છે. હાલમાં ઉનાળો પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય સવારના 10 વાગ્યાની આસપાસ જ ધોમધખતો તાપ પડવા લાગે છે. આ રીતે સવારના 11 કે 12 વાગ્યા સુધી લાંબી લાઈનોમાં વહેલી સવારથી દુકાન બહાર ઉભેલા લોકોને વેપારીઓ દ્વારા મોડેથી દુકાન નહિ ખુલે તેવી જાણ કરાય છે. તેથી નાના પાન-ગલ્લાનાં વેપારીઓ અને લોકોને ખાલી હાથે જ પરત ફરવું પડે છે. જોકે લોકોમાં એવી પણ ફરિયાદ ઉઠી છે કે ,હોલસેલના વેપારીઓ જ યોગ્ય વ્યવસ્થા સાંભળી શકતા ન હોય નાના વેપારીઓ અને લોકોનો શુ વાંક ? તેથી લોકોને હાલાકી ન પડે તે માટે જો દુકાન ન ખોલવી હોય તો હોલસેલના વેપારીઓ અગાલા દિવસે જ પોતાની દુકાનની આગળ દુકાન નહિ ખુલે તેવું બોર્ડ મારે તેવી માંગ ઉઠી છે. જેથી લોકોને કલાકો સુધી લાઇનોમાં ઉભા રહીને હેરાન ન થવું પડે.

- text

- text