મોરબી : ચાર દિવસ પહેલા ગુમ થયેલા આધેડની લાશ મળી આવતા ચકચાર

- text


મોરબી : ચારેક દિવસ પહેલા મોરબીથી ગુમ થયેલા એક આધેડની લાશ આજે અવાવરું જગ્યાએથી મળી આવતા એ. ડીવી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સ્થળ તપાસ તેમજ આજુબાજુની જગ્યાના નિરીક્ષણ પરથી બનાવનો તાગ મેળવવાના પ્રયાસો પોલીસે આદર્યા છે.

- text

ચારેક દિવસ પહેલા મોરબીના 51 વર્ષીય આધેડ અમૃતલાલ પ્રભુભાઈ મેંદપરા ગુમ થયા હોવાની અરજી તેમના પરિવારજનોએ એ ડીવી પોલીસ મથકમાં લખાવી હતી. ત્યારે આજે ગુરુવારે સવારે ધુનડા રોડ પર ઉમા બઁગલો ખાતે અમૃતલાલની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક ગુમ થયા હતા ત્યારે તેઓએ સફેદ કલરનો લાઇનિંગ વાળો શર્ટ અને કોફી કલરનું પેન્ટ પહેરેલ હતું. આજે જયારે લાશ મળી આવી ત્યારે લાશ એકદમ વિકૃત થઈને ફુલાઈ ગયેલી અવસ્થામાં મળી આવી હતી. આથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે જે દિવસે મૃતક ગુમ થયા એ જ દિવસે એમનું અવસાન થયું હોવું જોઈએ. મોરબી અપડેટ દ્વારા સ્થળ પર ઉપસ્થિત તપાસકર્તા પોલીસકર્મી ગઢવી સાહેબ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે લાશ એ હદે કોહવાઈ ગઈ છે કે પ્રાથમિક તપાસમાં મૃત્યુ કઈ રીતે થયું તે કહી શકાય તેમ નથી. બનાવ હત્યાનો છે, આત્મહત્યાનો છે કે આકસ્મિક મૃત્યુનો છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. હાલ તો મૃતકના પરિજનો અને પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો છે. જ્યાં બનાવને લગતા પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

- text