- text
મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારી દ્વારા કેશ ડોલ કે સીધા બેંક ખાતામાં સહાય જમા કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યા અનુસાર કોરોનાની મહામારીને કાબુમાં લેવા ભારત સરકાર તરફથી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. જે પ્રસંશનીય બાબત છે. આ સમય દરમ્યાન રાજય સરકાર તરફથી ગરીબ કે મધ્યમ પરીવારોને એપ્રિલ માસમાં જે સહાય જાહેર કરેલ છે. તેમાં સહાનુભુતી, રહેમરાહ દાખવી મીનીમમ લઘુતમ વેતનને ધ્યાને લઇ કેશ ડોલના રૂપમાં કે જનધન યોજના હેઠળ ખુલેલ બેન્ક સીધા ખાતામાં જો આ રકમ જમા થાય તો એકી સાથે એક જ જગ્યાએ માણસોની ભીડ ન થાય અને જે તે વ્યકિત પોતાના સ્થળે જ રહે. જેથી સરકાર દ્વારા આ ગંભીર રોગને કાબુમાં લેવા પ્રયાસ થઇ રહ્યા છે તેને સમર્થન મળે. વ્યકિતદીઠ 3.50 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબદીઠ 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ, 1 કિલો મીઠું આની બજાર કિંમત ગણીએ તો લઘુતમ વેતનથી ઘણી જ અપુરતી ગણાય.
માણસને જીવન જરૂરીયાત માટે રાજય સરકાર મનરેગા યોજના જેવી માણસને રોજી મળી રહે તેવી વ્યવસ્થા કરે અથવા જીવન જરૂરીયાત પુરતી રકમની સહાય કરે. જેથી, આ કપરા સમયમાં પરીવહન બંધ હોય, ખેડુતે પકવેલ અનાજ કે શાકભાજી અન્ય જગ્યાએ જઈ શકતા ન હોય અને મહામુલુ પશુધનને બચાવવા માલધારી સમાજને પણ વિનામુલ્ય 2 માસ સુધી ઘાસચારાનું વિતરણ 3-4 ગામનું જથ બનાવી જે તે સેન્ટર પર જ આનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવા અપીલ કરાઈ છે.
- text
વધુમાં, હાલ ખેડૂતોએ મહામહેનતે પરસેવો પાડીને પકવેલ અનાજ ખુલ્લા ખેતર કે ફળીયામાં રાખેલ છે. આ માલનું તુરંત વેચાણ કરી, ખેડુતો પોતાનું જીવન નિર્વાહ કરવા નાણાની અતી જરૂરીયાત હોય છે. પરંતુ માર્કેટ યાર્ડ, બજારો બંધ હોવાથી વેચાણ થઇ શકતું નથી. આથી, રાજય સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે ખેડુતોએ પકવેલ અનાજ જે ખેડૂતો વેચાણ કરવા માગતા હોય તેમનું બજાર ભાવે નહી કે ટેકાના ભાવે 3-4 ગામનું એકમ બનાવી ત્યાંથી માલનું પરીવહન કરે. જેથી, માણસોની ભીડ ન થાય, શહેરમાં અનાજ કરીયાણું સમયસર પહોંચાડી શકાય અને ખેડુતોને સમયસર નાણાના અભાવે માનસીક ટેંશનમાંથી મુકિત મળે.
આ ઉપરાંત, જે ગરીબ-મધ્યમ વર્ગ કે નોકરીયાતોએ લોન લીધેલ છે તે પરત કરવાનો સમયગાળો લંબાવવા વિનંતી કરાઈ છે. અને આ બે માસના સમયગાળામાં તમામ યુનિટો, ધંધારોજગાર બંધ હોય બેન્કોના હપ્તાઓમાં વ્યાજ રાહત (શુન્ય) આપવા અને આ વ્યાજનો બોજ રાજય સરકાર સીધો જ જે તે લગત સંસ્થા ભોગવે તેવો હુકમ કરવા અને આ પારાવાર મુશ્કેલીમાંથી ખેડુત, ખેત મજ૨, નોકરીયાત, અને રોજેરોજનું કમાતા શ્રમજીવી માલધારીઓને લાભ અપાવવા ઘટતુ કરવા રજૂઆત કરાઈ છે.
- text