- text
પાઇપ લાઇન નખાઈ તો ખેડૂતોને પાણી નહિ મળે તેવી ભીતિ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવી આત્મવિલોપનની ચીમકી આપી
હળવદ : હળવદના બ્રાહ્મણી-૨ ડેમ પર પાઇપ લાઈન નાખવા મામલે ૨૮ ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પાઇપ લાઇન નખાઈ તો ખેડૂતોને પાણી નહિ મળે તેવી ભીતિ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવી આત્મવિલોપનની ચીમકી આપી હતી.
- text
હળવદની બ્રાહ્મણી-૨ ડેમ સાઈટ પર આજે સવારે ૨૮ ગામોના ખેડૂતો એકઠા થયા હતા અને ખેડૂતોએ આ ડેમમા પાઇપલાઇન નાખી કચ્છને પાણી આપવાના પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જો બ્રાહ્મણી-૨ ડેમ પર પાઇપલાઇન નાખવામાં આવે તો ખેડૂતોને જે કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળતું હતું તે બંધ થઈ જવાની ભીતિ દર્શાવીને હળવદના તાલુકાના ૨૮ ગામોના ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર નારેબાજી કરીને હળવદના ઈશ્વર નગરથી ભરતનગર સુધી નખાતી પાઈપલાઈનનો વિરોધ કર્યો હતો અને પાઈપલાઈનની કામગીરી બંધ કરી કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી. બ્રાહ્મણી ડેમ -2 માં પાણીનો સ્ત્રોત ઓછો હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જો કે પહેલા ખુલ્લી કેનાલ હોવાથી ખેડૂતો સરળતાથી કેનાલમાંથી પિયત માટે પાણી મેળવી શકતા હતા. પણ હવે ખુલ્લી કેનાલને પાઈપ લાઈનથી ઢાંકી દેવાની કામગીરી શરૂ કરતાં હવે ખેડૂતોને પાણી નહિ મળે તેવી ભીતિ છે. આથી, ખેડૂતોએ આજે આ બાબતનો વિરોધ કરી પાઇપ લાઈન નાખવાની કામગીરી બંધ ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
- text