૬૫ રાઉન્ડમાં થશે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની મતગણતરી

- text


૧૮ મીએ સવારથી મહેન્દ્રનગર પોલીટેક્નિક ખાતે મતગણના પ્રારંભ : ૩૦૦ કર્મચારીઓ કરશે મતગણતરી

મોરબી અપડેટ : આગામી ૧૮ મીએ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની મતગણતરી કુલ ૬૫ રાઉન્ડમાં કરવામાં આવશે આ માટે ૩૦૦ કર્મચારીઓને મતગણતરીની તાલીમ આપવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાની મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠકની મતગણતરી આગામી ૧૮ મીએ સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને સંભવતઃ બપોરે ૨ વાગ્યા સુધીમાં ત્રણેય બેઠકોના પરિણામ કુલ ૬૫ રાઉન્ડની મતગણતરીના અંતે પૂર્ણ થશે.

વધુમાં મોરબી જિલ્લાની તમામ ત્રણેય બેઠકોની મતગણતરી મહેન્દ્રનગર સરકારી પોલીટેકનીક બિલ્ડિંગમાં રાખવામાં આવી છે જેમાં એ વિંગમાં મોરબી અને ટંકારા બેઠક તથા બી વિંગમાં વાંકાનેર બેઠકની મતગણતરી કરવામાં આવશે.

- text

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ ૮૮૦ મતદાન મથકો આવેલ છે જેમાં મોરબી બેઠકના ૨૮૨ બુથ માટે ૨૧ રાઉન્ડ, ટંકારા બેઠકના ૨૮૯ મતદાન મથકો માટે ૨૧ રાઉન્ડ અને વાંકાનેરના ૩૦૯ બુથ માટે ૨૩ રાઉન્ડ મળી કુલ ૬૫ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે, દરેક વિધાનસભા બેઠક માટે ૧૦૦-૧૦૦ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે અને તેમને તાલીમ આપવાનું પણ શરૂ થઈ ગયું છે.

આમ, મોરબી જિલ્લામાં કોણ-જીતશે કોણ હારશે તે નક્કી કરવા મતગણત્રીના આયોજનને આખરી ઓપ અપાઈ ગયો છે અને ૧૮ મીએ બપોર સુધીમાં લોકોની આતુરતાનો અંત આવી જશે.

- text