બોચાસણ ખાતે પૂ. મહંતસ્વામીના હસ્તે ૩૭ યુવાનોએ લીધી ભાગવતી દિક્ષા 

- text


દીક્ષાર્થી સાધુના માતા – પિતાને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને માતા પિતાએ અહી સેવામાં આપી દીધા: મહંત સ્વામી મહારાજ

સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મન ને જીતવાનું છે આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે, સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે :મહંત સ્વામી મહારાજ

મોરબી : બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ બોચાસણ ખાતે ગતરોજ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૧ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની સંત દિક્ષાની પ્રણાલી અનુસાર અગાઉ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી લઈને તીર્થધામ સાળંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને યોગ્યતા પ્રાપ્ત કરી છે એવા ૩૭ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તીર્થધામ બોચાસણ ખાતે આજરોજ સંત દિક્ષા અર્થાત ભાગવતી દિક્ષા પ્રદાન થયેલ છે. આમ બી.એ.પી.એસ. સંસ્થાની સંત પંક્તિમાં હાલ કુલ ૧૧૯૫ સંતો વિદ્યમાન થયા છે.

સવારે આઠ વાગ્યે દીક્ષા નિમિત્તેની મહાપૂજા વિધિ સંપન્ન થઇ હતી. જેમાં ભાગવતી દીક્ષા લેનારા પાર્ષદોના પૂર્વાશ્રમના એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ આ સમયે દીક્ષાદિનની સભામાં જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ પાર્ષદોને સદગુરુવર્ય પૂજ્ય વિવેક્સાગર સ્વામીએ કંઠી,  ઉપવસ્ત્ર, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી) એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા અને  પૂજ્ય ડોકટર સ્વામીએ આશીર્વાદ આપ્યાં હતાં અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ અર્થાત્ કે, ‘અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું’ એ દીક્ષામંત્ર આપી દીક્ષાર્થી સંતના ભાલ પર ચંદનની અર્ચા કરી અંતરનો રાજીપો વરસાવ્યો હતો. આ પ્રસંગે દીક્ષા લેનાર દીક્ષાર્થીઓના માતા-પિતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજનાં આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં અભ્યાસકીય રીતે જોઈએ તો ૫ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૧૦ બી.ઇ., ૧ બી.સી.એ., ૧ બી.બી.એ., ૬ બી.એસ.સી., ૪ બી.કોમ, ૧ બી. ફાર્મ., ૨ બી.એડ, ૧ હોટલ મેનજમેન્ટ, ૬ અન્ય. આમ વિવિધ કારકિર્દી ધરાવતા કુલ ૩૭ પાર્ષદો આજે સ્વામીની ભગવી સેનામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે ગત માસમાં અમેરિકા ખાતે રોબિન્સવીલમાં વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામના ઉદઘાટન વખતે અમેરિકાની ધરતી ઉપર જન્મેલા, ઉચ્ચ કારકીર્દિ ધરાવતા ૩૦ યુવાનોને દીક્ષા આપી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પૂજ્ય મહંતસ્વામી મહારાજ વરદ હસ્તે કુલ ૨૫૭ સંતો દીક્ષિત થયા છે.

દીક્ષા લેનાર પાર્ષદ નિશ્ચલ ભગત એમનું પૂર્વાશ્રમનું નામ હાર્દિકભાઈ છે, જેઓ વિદ્યાનગર સ્થિત બી.વી.એમ. કોલેજમાંથી એન્જીનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઉદેપુર IIM માંથી એમ.બી.એ. થયા છે. ઊંચા પગાર વાળી નોકરીનો ત્યાગ કરીને સાધુ થયા છે. એમણે જણાવ્યું કે, “ભગવાનની મોટ્યપ સામુ જોઈએ છે ત્યારે ભગવાન અને ગુરુ કરતા આ લોકની કોઈ ડિગ્રી, પ્રતિષ્ઠા મોટી નથી. સંસારમાં રહીએ તો બે – પાંચ – પંદર વ્યક્તિને સુખી કરી શકીએ, પરંતુ અહી ભગવાન અને ગુરુના સાનિધ્યમાં સમગ્ર વિશ્વ અમારો પરિવાર છે. ”

- text

દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વરિષ્ઠ મહિલાઓ દ્વારા દીક્ષાર્થી યુવાનોના માતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આજનાં આ દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, “દીક્ષાર્થી સાધુના માતા – પિતાને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને અહી સેવામાં આપી દીધા. સાધુનો માર્ગ સહેલો નથી. તપ, વ્રત, સેવા, ભક્તિ અને મનને જીતવાનું છે. આ બધું સત્પુરુષ મળ્યા વગર પત્તો ન પડે. સત્પુરુષ હોય તો માર્ગ ચોખ્ખો મળે. આ પ્રાપ્તિ મોટી છે. મહારાજ સ્વામીએ સ્વીકાર્યા છે. આ પ્રાપ્તિ મોટી છે. સેવામાં આપણે મહારાજ સ્વામીને સાથે રાખવાના છે તો જીવન ધન્ય થઈ જાય. અહી બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી લાખો માટે મોક્ષનું દ્વાર ખોલી દીધું. આપણને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા તે મોક્ષ માર્ગમાં ખામી રહેવા નહિ દે.” આ પ્રસંગે સ્વામીને વરિષ્ઠ સંતોએ પુષ્પહારથી વધાવ્યા હતા.

- text