- text
વર્ષ 2003માં શહીદી વહોરનાર પંકજસિંહ રાઠોડના પરિવારની ભાવ વંદના કરાઈ
હળવદ : બોટાદથી શરૂ થયેલી શહીદ વંદના વિરાંજલી યાત્રા સોમવારે મોડી સાંજે હળવદ તાલુકાના કોયબા ગામે આવી પહોંચી હતી. જ્યાં શહીદ વીરના પરિવારજનોની વંદના કરવાની સાથે 51,000નો ચેક અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
દેશની સુરક્ષા માટે રાજપૂત સમાજના સૈનિકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે તેવા શહીદ વીરોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદોના પરિવારની ભાવવંદના કરવા બોટાદથી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શહીદ વંદના વિરાંજલી યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા 900 કિલોમીટરની હતી જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા.
શહીદ વંદના વિરાંજલી યાત્રાના આયોજક પ્રવીણભાઈ સિંધવે જણાવ્યું હતું કે, 1947 થી લઈને 2023 સુધીમાં રાજપૂત સમાજના જે ભારતીય સૈનિકો શહીદ થયા છે તે તમામના પરિવારજનોને વિરાંજલી યાત્રા મળ્યા છીએ. દેશ માટે શહીદી વહોરનાર જવાનના પરિવારની આર્થિક પરિસ્થિતિ શું છે, શહીદ થયેલા સૈનિકોના બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે, તેને કોઈ આર્થિક કે અન્ય કોઈ પ્રકારની મદદની જરૂરિયાત છે કે કેમ તેનો પણ ચિતાર મેળવ્યો હતો.
આ શહીદ વંદના વિરાંજલી યાત્રા સોમવારે હળવદ તાલુકાના કોયબા ગામે આવી પહોંચી હતી જ્યાં વર્ષ 2003માં માર્ગાઓ(ગોવા)ખાતે શહીદ થયેલા રાઠોડ પંકજસિંહ ધીરુભાઈના પરિવારજનોની ભાવવંદના કરી આ યાત્રા સંપન્ન કરવામાં આવી હતી.
- text
- text