મોરબી જિલ્લા SC/ST સમાજ માટે પોલીસ વિશેષ લોકદરબારો યોજશે

- text


31મી સુધી ખાસ ઝુંબેશ : જિલ્લાના 55 વિસ્તારોમાં જઈને પોલીસ લોકોના પ્રશ્નો સાંભળશે 

મોરબી : રાજકોટ રેન્જ હસ્તકના મોરબી સહિતના 5 જીલ્લાઓમાં અનુસુચિત જાતિ/જનજાતિ ઉપર બનતા ગંભીર પ્રકારના બનાવો અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ દ્વારા ૮૦૯-પોલીસ લોકદરબાર તથા ૪૪૫-મહોલ્લા વીઝીટની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના લોકો ઉપર અત્યાચારના બનાવો બનતા અટકે અને તેઓ ગંભીર પ્રકારના ગુન્હાનો ભોગ ન બને તે સારૂં એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે ઝુંબેશમાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જીલ્લાઓ ખાતે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં રાજકોટ ગ્રામ્ય-૧૮, મોરબી-૮, જામનગર-૧૫, સુરેન્દ્રનગર-૨૦ તથા દેવભુમિ દ્વારકા જીલ્લાના-૮ પોલીસ સ્ટેશનો મળી કુલ-૬૯ પોલીસ સ્ટેશનોમાં આવેલ અનુસુચિત જાતિ/જનજાતિના લોકોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે પોલીસ અધિક્ષકો દ્વારા – ૬૭, નાયબ પોલીસ અધિક્ષકો દ્વારા – ૯૯, સી.પી.આઇ.ઓ દ્વારા- ૯૮ તેમજ થાણા અધિકારીઓ દ્વારા- ૫૪૫ એમ મળી કુલ – ૮૦૯ લોકદરબારોનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોકત ખાસ ઝુંબેશમાં પોલીસ સ્ટેશનોમાં આવેલ અનુસુચિત જાતિ/જનજાતિના લોકોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, સી.પી.આઇ. તથા થાણા અધિકારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના ગામડાઓમાં આવેલ અનુસુચિત જાતિઓના મહોલ્લાઓ પૈકી દેવભુમિ દ્વારકા જીલ્લા – ૬૦, જામનગર જીલ્લા -૧૦૦, મોરબી જીલ્લા – ૫૫, રાજકોટ ગ્રામ્ય જીલ્લા – ૧૧૦ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા – ૧૨૦ મળી કુલ – ૪૪૫ અનુ.જાતિ મહોલ્લાઓની મુલાકાત કરવામાં આવનાર છે.

- text

ઉપરોકત ખાસ ઝુંબેશમાં જણાવેલ લોકદરબારમાં પોલીસને લગતી કામગીરી તેમજ જમીન/મિલ્કતની બાબતોમાં વર્ષોથી ચાલતા વિવાદોના મુળ સુધી ઉતરી તેનો યોગ્ય રીતે નીકાલ થાય તે હેતુસર અન્ય વિભાગો સાથે સંકલન કરી યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડી સમસ્યાઓના નિરાકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.ઉપરોકત ખાસ ઝુંબેશમાં લોકદરબાર દરમ્યાન સમાજમાં સામાજિક સમરસતા કેળવાઇ તે હેતુથી સમાજના તમામ વર્ગોને સાથે રાખી તેઓની તમામ સમસ્યાઓનુ નિરાકરણ કરવામાં આવશે.

- text