મોરબીમાં રાજપૂત સમાજની વાડી માટે રાજવી પરિવારે આપી 6 વિઘા જમીન

- text


 

રાજપૂત સમાજની મિટિંગમાં જમીન અર્પણ કરાઈ, ઝૂલતા પુલના દિવંગતોનું સ્મારક બનાવવા માટે પણ લેવાયો નિર્ણય

મોરબી: મોરબીમાં રાજપૂત સમાજની વાડીના નિર્માણ માટે આજે 29 જાન્યુઆરીના રોજ રાજપૂત સમાજની મિટિંગ મળી હતી. જેમાં મોરબીના રાજવી પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજવી પરિવારના અધ્યક્ષસ્થાને યોજાયેલી મિટિંગમાં રાજવી પરિવારે રાજપૂત સમાજ વાડીના નિર્માણ માટે 6 વીઘા જમીન અર્પણ કરી છે.

મોરબીના ન્યુ પેલેસ ખાતે મોરબી સ્ટેટના મીરાં બાપાના અધ્યક્ષસ્થાને તેમજ રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજની મિટિંગ મળી હતી. જેમાં રાજપૂત સમાજની વાડીના નિર્માણ માટે રાજવી પરિવારે ન્યુ પેલેસ નજીક આવેલી 6 વીઘા જમીન દાનમાં આપી હતી. તે ઉપરાંત મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં સ્મારક પણ બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. મોરબીના મણી મંદિર પાસે મચ્છુ જલ હોનારત દુર્ઘટનાના દિવંગતોની સ્મૃતિમાં સ્મારક બનાવ્યું છે તેની નજીક ઝૂલતો પુલના દિવંગતોનું સ્મારક પણ બનાવવાની માહિતી આપી હતી.

આ તકે મોરબી સ્ટેટ મીરાં બાપાએ જણાવ્યું હતું કે, મોરબી આગળ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. સમાજથી જ તેની શરૂઆત થવી જોઈએ અને સમાજ વાડી બનાવવાની જરૂરત હોવાથી જમીન આપી છે. તેમજ ઝૂલતો પુલના દિવંગતોની સ્મૃતિમાં સ્મારક પણ બનાવવામાં આવશે. મોરબીને જરૂરત હોય ત્યારે રાજવી પરિવાર પડખે ઉભો રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મિટિંગમાં પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા અને રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text