ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલના જંગલ કટિંગમાં વ્યાપક ભ્રષ્ટાચાર

- text


હળવદ નજીક નિયમ મુજબ કેનાલ નજીક ઉગી નીકળેલા ઝાડી,ઝાંખરા કટિંગ કરવાને બદલે જેસીબીથી આડેધડ કામગીરી : કેનાલનો મુખ્ય રોડ તોડી નંખાયો 

કેનાલમાં સફાઈ કરવાને બદલે ઝાડી,ઝાંખરા ફેંકાયા : ચોમાસા પૂર્વે કેનાલમાં જામેલો કદડો સાફ નહીં કરાઈ તો ખેડૂતોને નુકશાન

હળવદ : મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલનો ખેડૂતોને લાભ મળે કે ન મળે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટર માટે નર્મદા કેનાલ કડકડતી નોટો છાપવાની ટંકશાળ બની રહી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. હળવદ નજીક પસાર થતી નર્મદા કેનાલની ધ્રાંગધ્રા બ્રાન્ચમાં હાલમાં નિયમ મુજબનું કાગળ ઉપર જંગલ કટિંગ ચાલી રહ્યું છે. ખરા અર્થમાં કેનાલ કાંઠે ઉગી નીકળેલા બાવળ એ અન્ય ઝાડને દૂર કરવાના હોય છે પરંતુ અધિકારીઓની મિલીભગતથી કેનાલના કાંઠે જેસીબી ફેરવી દઈ આ કચરો કેનાલમાં અને આજુબાજુમાં નાખી સરકારને લાખો કરોડોનો ચૂનો ચોપડવા ખેલ ચાલી રહ્યો છે.

મોરબી જિલ્લામાં દર વર્ષે ઉનાળા દરમિયાન છેવાડાના વિસ્તારના કેનાલના લાભાર્થી ખેડૂતોને પાણી ન પહોંચતું હોવાનું ફરિયાદો ઉઠે છે અને ખેડૂતોના આંદોલન બાદ પણ તંત્ર હૈયાધારણા સિવાય કશું આપતું નથી. કેનાલમાં પાણી ન પહોંચવા પાછળનું મુખ્ય કારણ કેનાલમાં જમા થયેલ કાપ કચરો છે. સરકારને ઊંધા ચશ્મા પહેરાવી દરવર્ષે નર્મદા નિગમ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ કાગળ ઉપર કેનાલની સફાઈ અને કેનાલ કાંઠે ઉગી નીકળેલા ઝાડવા દૂર કરવા લાખો રૂપિયાનો કાગળ ઉપર ખર્ચ કરે છે પરંતુ હકીકતમાં કેનાલની સફાઈ થતી નથી.

હાલમાં હળવદ જીઆઇડીસી પાછળ આવેલ નર્મદા કેનાલની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં આવું જ કાગળ ઉપર જંગલ કટિંગ ચાલી રહ્યું છે. અધિકારી અને કોન્ટ્રાકટરની ભાગીદારીમાં ચાલતા આ જંગલ કટિંગમાં હકીકતમાં મેનપાવરનો ઉપયોગ કરી ઝાડી ઝાંખરા દૂર કરવાના હોય છે પરંતુ અધિકારીઓની કૃપાથી કોન્ટ્રાકટર કેનાલનો રોડ તોડી નાખી જેસીબી ફેરવીને જંગલ કટિંગ કરવાનો ડોળ કરી ઝાડી ઝાંખરાંને કેનાલમાં તેમજ કેનાલના બીજા તરફના ભાગે ફેંકી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે કેનાલની બાજુમાં બનાવાયેલ માર્ગનો ગ્રામ્ય જનતા મોટાપ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે પરંતુ નિયમ મુજબ જંગલ કટિંગ ન થતું હોવાથી કેનાલ કાંઠે ઉગતા વૃક્ષો છેવટે તો કેનાલને નુકશાન કરવાની સાથે અહીંથી પસાર થતા લોકો માટે પણ જોખમી બન્યા છે અને તાજા ભૂતકાળમાં તંત્રના આવ જ પાપને કારણે એક મોટર કાર કેનાલમાં ખાબકતા નવદંપતીનું મૃત્યુ નીપજ્યાની ઘટના પણ બની હતી.

નર્મદા કેનાલના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ચાલી રહેલા જંગલ કટિંગ કામગીરી અંગે નર્મદા વિભાગના અધિકારી ધવલ પ્રજાપતિ અને હળવદના સ્થાનિક અધિકારી કિરીટભાઈ ભાભોરનો ટેલિફોનિક સંપર્ક કરતા એક પણ અધિકારીએ જવાબ આપ્યો ન હતો. આ સંજોગોમાં જો જાગૃત ખેડૂતો દ્વારા હાલમાં નર્મદા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવાતી લોલમલોલ સામે આવાજ ઉઠાવી કેનાલની યોગ્ય સફાઈ નહીં કરાવે તો આવનાર દિવસોમાં ખેડૂતોને જ સહન કરવું પડશે.

- text