- text
રેવન્યુ બાર એસોસિએશન દ્વારા નોંધણી નિરીક્ષકને રજૂઆત
મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઇટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળ મોરબી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આથી, મોરબીમાં દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે. મોરબીમાં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે. તેટલા દસ્તાવેજોના ઓનલાઈન ટોકન મળી શકતા ન હોય, મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલમાં આશરે ૧૨ દિવસ જેટલું વેઇટિંગ થઈ ગયેલ છે. આથી, વકીલોને તથા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે બેંક તરફથી લોનનો ચેક ઇસ્યુ થાય ત્યાંથી વ્યાજની ગણતરી શરૂ થઇ જતી હોય છે. જ્યારે સરકારમાં નોંધણી ફીની ઓનલાઇન રકમ ભર્યા બાદ દસ્તાવેજ કે મોર્ગેજ કરવામાં ૧૨ થી ૧૫ દિવસ રાહ જોવી પડે છે. આથી, દસ્તાવેજોની સમયસર નોંધણી થઈ શકતી ન હોય, લોકોના આર્થિક શેડ્યુલ ખોરવાઈ જાય છે.
- text
આથી દસ્તાવેજની નોંધણી સત્વરે થાય તે માટે બે દસ્તાવેજ વચ્ચેનો સમય ૧૦ મિનિટમાંથી ઘટાડી ૫ મિનિટ કરવા અથવા સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય સાંજે ૫-૦૦ ને બદલે ૬-૦૦નો કરવા માંગ કરી છે. અને આ બાબતે રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાના કહેવા મુજબ જો આ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસ્તાવેજના ટોકન મેળવવામાં ૧૫ થી ૨૦ દિવસનું વેઇટિંગ થતાં વાર નહીં લાગે. જેને નિવારવા માટે નોંધણી નિરીક્ષક, ગાંધીનગરની કચેરીને રજુઆત કરવામાં આવેલ છે.
- text