જાણો.. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાનો હાઉ કેવી રીતે દૂર કરવો?

- text


ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ગણતરીના દિવસોમાં શરૂ થઇ રહી છે. પરીક્ષા જેમ નજીક આવતી જાય તેમ તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન વધતું જતું હોય છે. પરંતુ આ ટેન્શન માત્ર આપણી ફરજનું ભાન કરાવનારું હોવું જોઇએ, પરિણામની ચિંતા કરાવનારું નહિ. આપણે ગીતાના પેલા શ્લોકનું સ્મરણ કરીએ ‘કર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેષુ કદાચન’ અર્થાત્ તું કર્મ કરતો જા, એના પરિણામની ચિંતા કરીશ નહિ. કર્મ કર્યુ છે એટલે એનું પરિણામ નિશ્ચિત મળવાનું જ છે. માટે પરીક્ષાનો બિનજરૂરી હાઉ ઉભો કરવો નહિ. આ સલાહ માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, તેના વાલીઓ માટે પણ છે. કારણ કે ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ કરતા તેના વાલીઓ વધારે ટેન્શન લઇને ફરતાં હોય છે. અહીં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેટલાંક સૂચનો રજૂ કર્યા છે.
વિદ્યાર્થીઓ માટે
બિનજરૂરી સ્પર્ધામાં ઉતરવું નહિ :
મિત્રો વચ્ચે ટકા લાવવા માટે ખોટી શરતો લગાવવી જોઇએ નહિ. દરેકની ક્ષમતા, યાદ શક્તિ અને રુચિના વિષયો જુદા જુદા હોય છે. એટલે કોઇની સાથે તુલના કરવી નહિ. અગર સ્પર્ધા કરવી હોય તો તે તંદુરસ્ત હોવી જોઇએ.
વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો નહિઃ 
આત્મ વિશ્વાસ એ એક મોટું મનોબળ છે પરંતુ વધારે પડતો વિશ્વાસ ઘાતક છે. આપણી ક્ષમતાનું આપણાથી વધારે કોઇને ભાન હોતું નથી એટલે આપણામાં જેટલી ક્ષમતા છે એટલી જ અપેક્ષા રાખવી.
નકારાત્મક વિચારો કરવા નહિ :
ઓછા ટકા આવશે કે નપાસ થઇશ તો શું થશે એવી ખોટી ચિંતા કરવી નહિ. આવા બિન જરૂરી ટેન્શનને કારણે આવડતું હોય એ પણ ભુલાઇ જાય છે.
પૂરતી ઉંઘ લો :
આખું વર્ષ સરખી મહેનત કરી હોય તો છેલ્લે, એમાંય પરીક્ષાની આગલી રાતે બિનજરૂરી ઉજાગરા કરવાની જરૂર નથી. ઉજાગરાને કારણે દિવસે સુસ્તી રહેશે, માથું ભારે લાગશે જેને કારણે પરીક્ષામાં આવડતું હશે તો પણ શ્રેષ્ઠ પ્રદર્શન નહિ કરી શકો.
ચોગ્ય કસરત કરો : 
પરીક્ષા આપવા માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી જરૂરી છે તેના માટે હળવી કસરત કરો અને પોષણ યુક્ત આહાર લો.
પૂરતો આરામ કરો : 
વાંચતી વખતે દર ૪૫ મિનિટે થોડો આરામ કરો. આપણું મગજ એક સ્થળે ૪૫ મિનિટ કરતાં વધારે સમય એકાગ્ર કરી શકતુ નથી. એટલે વચ્ચે વચ્ચે થોડો વિરામ લો.
યોગ્ય આયોજન કરો : 
પેપર કેવી રીતે લખવું એનું આયોજન અગાઉથી કરી રાખો. જે પ્રશ્ન આવડે છે એને પ્રથમ લખો ન આવડતા કે ઓછા આવડતા પ્રશ્નમાં અટવાઇને સમય વેડફો નહિ. યોગ્ય અભિવ્યકિત પણ પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.
પરિણામની ચિંતા કરવી નહિઃ 
પેપર ધાર્યા મુજબનું નથી ગયું કે ખરાબ ગયું છે તો ખોટી ચિંતા કરવી નહિ. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમને આવડતું હોય તો પણ તમને સમય કે સંજોગો મદદરૂપ બનતા નથી. પરંતુ આ પરીક્ષા માત્ર એક તક છે. તમારા માટે સફળતાનું માત્ર એક જ દ્રારા બંધ થયું છે, બીજા ઘણાં દ્વાર ખુલા છે તમારામાં શકિત હશે તો એ પીપળાની માફક ભીંત ફાડીને બહાર નીકળશે તક ચૂકી ગયાના અફસોસ કરવો નહિ. સામે ઘણી તકો ઉભી હોય છે એટલે નિરાશ થઇને કોઇ અવળું પગલું ભરવું નહિ.
વાલીઓ માટે
ખોટા લક્ષ્યાંકો આપવા નહિઃ 
તારે આટલા ટકા આવવા જોઇએ એવા ખોટા લક્ષ્યાંકો તમારા સંતાનોને આપવા નહિ. સમજદાર બાળકોને એની ફરજનું ભાન હોય જ છે. એ એની આવડત અને ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરશે. ખોટા લક્ષ્યાંકથી એટેન્શનમાં આવી જશે એની ક્ષમતા પ્રમાણે એની પાસે અપેક્ષા રાખો.
કોઇ સાથે તુલના કરવી નહિઃ 
પેલા કરતાં તારે વધારે ટકા આવવા જોઇએ એવું તમારા સંતાનને ક્યારેય કહેવું નહિ પાડોશી, મિત્ર કે સગા-વહાલાનાં બાળકો સાથે તમારા બાળકની તુલના કરવી નહિ. કુદરતે બધાને એક સમાન શક્તિ આપી હોતી નથી. એટલે કોઇની સાથે સરખામણી કરી શકાય નહિ.
તમારા સપનાનો ભાર સંતાનો ઉપર થોપો નહિ :
ઘણીવાર મા-બાપ કહેતા હોય છે કે અમે તો ભણી શક્યા નથી, પરંતુ અમારા બાળકને જરૂર ભણાવવો છે આ વિચાર તો સારો છે, પરંતુ તેના આચરણ માટે હઠાગ્રહ ન હોવો જોઇએ. રંગ, રોગ અને વિદ્યા મોટા ભાગે વારસાગત હોય છે. રાજાનો દીકરો રાજા બને, તેમ તેજસ્વી મા-બાપનો દીકરો મોટે ભાગે તેજસ્વી પુરવાર થતો હોય છે. તમે જે હાંસલ કરી શકયા નથી, તે તમારા પુત્ર પાસે હાંસલ કરાવવા દબાણ કરો નહિ.
ખોટી ડરામણી ન આપો : 
ભણીશ નહિ તો તારું શું થશે ? આપણી પાસે થોડી જમીન જાયદાદ છે ? એવી ડરામણી ઘણાં મા-બાપો સંતાનોને આપતાં હોય છે. આનાથી ઉલટાનું બાળક ટેન્શનમાં આવે છે. ભણતર જરૂરી છે, પણ અનિવાર્ય નથી. ધીરૂભાઇ અંબાણી જેવા કેટલાક લોકો ઓછું ભણીને સફળતાનાં શિખરો સર કરી ચૂક્યા છે.
વાતવાતમાં બાળકને ટેકલ ન કરો : 
ઘણીવાર વિદ્યાર્થી જરાક આરામ કરે તો પણ, ખાસ કરીને અભણ મા-બાપ એને ટેકલ કરતાં હોય છે શારીરિક શ્રમ કરતાય માનસિક શ્રમ વધારે થાક આપતો હોય છે. એટલે વચ્ચે થોડો સમય આરામની પણ જરૂર પડે વિદ્યાર્થી ઘાણીનો બળદ નથી. સમજ્યા વગર એને ટેકલ ન કરવો જોઇએ.
મિત્રો, આવા તો ઘણાં સૂચનો થઇ શકે પરંતુ સૌથી મોટું સૂચન એ છે કે તમે જ તમારા માર્ગદર્શક છો. ભગવાન બુદ્ધે કહ્યુ છે તેમ ‘આત્મદીપો ભવઃ’ અર્થાત્ તમે જ તમારા દીપક છો તમને શી તકલીફ છે ? શું વધારે આવડે છે ? શું નથી આવડતું ? વગેરે ફક્ત તમે જ જાણો છો ત્યારે તમારા નિર્ણાયક લક્ષ્ય નિર્ધારક, માર્ગદર્શક વગેરે તમે જ છો તમારી વિવેક બુધ્ધિ પ્રમાણે નિર્ણય લેવાય એ જ યોગ્ય ગણાય અસ્તુ સૌને પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ.
– ડો. મનીષ એ. સનારીયા 
(સ્પર્શ – બાળકો તથા દાંતની હોસ્પિટલ, શનાળા રોડ, મોરબી)

- text