માળિયા તાલુકાને સિંચાઈની સુવિધા આપવા માટે બજેટમાં કરાશે જોગવાઈ

- text


 

  • મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક

  • 12થી 13 ગામોને મચ્છુ-3માંથી તથા બાકિના ગામોને નર્મદા નીર આપવાનું ઘડાતું આયોજન : વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે

મોરબી : માળિયા તાલુકાને સિંચાઇની સુવિધા આપવા માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવશે. તેવી રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીએ ખાતરી આપી છે. તાલુકાના 12થી 13 ગામોને મચ્છુ-3માંથી તથા બાકિના ગામોને નર્મદા નીર આપવાનું આયોજન હાલ ઘડાઈ રહ્યું છે. એટલે આ તાલુકાનો સિંચાઈનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થવાની શકયતા ઉજળી બની છે.

માળિયા તાલુકાના મોટા ભાગના ગામો સિંચાઇની સુવિધા વિહોણા છે. આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે. જેને પગલે ખેડૂતો હાડમારીનો સામનો કરી રહ્યા છે. પરિણામે મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોએ ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સચિવ તથા ચીફ એન્જી. પણ હાજર રહ્યા હતા.

આ બેઠક અંદાજે એક કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં સિંચાઇના પ્રશ્નના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી કે આ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવશે.

- text

મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાનો સિંચાઈનો પ્રશ્ન હલ કરવા માટે 12થી 14 ગામોને મચ્છુ-3 ડેમમાંથી અને બાકીના ગામોને નર્મદા કેનાલ મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવાનું આયોજન હાલ ઘડાઈ રહ્યું છે.

બીજી તરફ મળતી વિગતો પ્રમાણે મંત્રી બ્રિજેશ મેરજાએ ધરાસભાની પેટાચૂંટણી લડી ત્યારે તેઓએ માળિયા તાલુકાના મતદારોને સિંચાઇનો પ્રશ્ન હલ કરવાનું વચન આપ્યું હતું. તેઓએ આ વચન પૂરું કરવા આજે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

- text