હળવદ : પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ માટે હાસ્ય કલાકાર-લેખક ડૉ.જગદીશ ત્રિવેદીએ આપ્યું યોગદાન

- text


ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા હળવદની સરકારી પ્રાથમિક શાળા નં. ૧ પાયામાંથી જ નવી બનાવાઈ રહી છે

હળવદ : ગુજરાતના ગૌરવસમા હાસ્ય કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદીએ પોતાની જિંદગીના પચાસ વર્ષ પુરા કર્યા બાદ પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણ પાછળ દાન રહ્યા છે તે હવે સૌ જાણે છે. નિવૃતિના પોણા ત્રણ વર્ષ દરમિયાન આશરે દોઢ કરોડ રુપિયાનું માતબર દાન તેઓ કરી ચૂક્યા છે. ત્યારે હાલ હળવદમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 1ને પાયામાંથી જ નવેસરથી ઉભી કરવાનું બીડું જગદીશભાઈએ ઉઠાવ્યું છે.

હળવદ શહેર અને તાલુકાના વિદ્યાર્થી-વાલીઓ માટે આનંદના સમાચાર છે કે હળવદ પ્રા. શાળા નં. ૧નું જૂનું અને ખખડધજ થઈ ગયેલા બિલ્ડિંગને જગદીશભાઈ પાયામાંથી જ નવું બનાવી રહ્યા છે. આ નવા બિલ્ડિંગનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સપ્તાહ દરમ્યાન નવા બિલ્ડિંગનો સ્લેબ ભરવાનું કાર્ય શરૂ થવામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા નંબર 1 એ હળવદની જુનામાં જૂની પ્રાથમિક શાળા છે. હળવદના અનેક લોકો આ શાળામાં વિદ્યાભ્યાસ કરી ચુક્યા છે. શાળા નંબર ૧ની ઇમારત જર્જરિત થઈ ગઈ હોય સમારકામની તાતી જરૂર હતી ત્યારે જ આ વાતની જાણ ડૉ. જગદીશભાઈ ત્રિવેદીને થતા તેમણે હળવદ પે.સેન્ટર શાળા નંબર 1ની ઇમારતના પાયાથી જ નવીનીકરણનું બીડું ઝડપ્યું, જે કામ પ્રગતિ હેઠળ છે. ઉચ્ચ ગુણવતાસભર બાંધકામનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે આ શાળા હળવદની આદર્શ શાળાઓ પૈકીની એક બની રહેશે અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓ આધુનિક ઇમારતની છત નીચે અભ્યાસ ગ્રહણ કરી કારકિર્દીની કેડી કંડારી શકશે.

- text

અત્રે એ ખાસ નોંધનીય છે કે સૌ પ્રથમ ડૉ. ત્રિવેદીએ વતન થાનગઢમાં જે શાળામાં પોતાના માતા-પિતા નોકરી કરતાં એ બન્ને સરકારી શાળાની કાયાપલટ કરી હતી. ત્યાર બાદ ગયા વરસે સાયલા, સુરેન્દ્રનગર જેવા સેન્ટરોમાં શિક્ષણ ક્ષેત્રે શાળા-પુસ્તકાલય બનાવવાની પહેલ કરી હતી જેને સાર્વત્રિક આવકાર મળ્યો હતો.

- text