સુરતની ઘટના બાદ મોરબી પાલિકાએ કાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી

- text


 

મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારાશે : પાલિકા પ્રમુખ

મોરબી : સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું આયોજના ઘડી કાઢવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું છે.

સુરતમાં એક ટ્યુશન ક્લાસમાં આગ લાગવાથી અંદાજે ૧૯ જેટલા બાળકોનું મૃત્યુ થયું છે. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. તમામ શહેરોની મહાપાલિકા અને પાલિકાઓના અધિકારીઓ ઘટનાના પગલે હરકતમાં આવ્યા છે. આ જ રીતે મોરબી પાલિકાએ પણ સુરતની દુર્ઘટનાની નોંધ લઈને કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે આવતીકાલે શનિવારે પાલિકામાં અધિકારીઓએ તાબડતોબ મિટિંગનું આયોજન કર્યું છે. આ મિટિંગ સવારે ૧૦ વાગ્યે યોજાવાની છે. જેમાં પાલિકાના અધિકારીઓ, એન્જીનીયરો, ફાયર વિભાગના અધિકારી સહિતના વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.

- text

‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાએ જણાવ્યું કે પાલીકા દ્વારા ચેકીંગ હાથ ધરીને મંજૂરી વગર ખડકાયેલા બાંધકામો તેમજ ફાયર સેફટીના સાધનો વિહોણી શાળાઓ અને બિલ્ડીંગો શોધી કાઢવામાં આવશે. ત્યારબાદ તેને નોટિસો ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી સંદર્ભે આવતીકાલે શનિવારે પાલિકા કચેરીએ મિટિંગ બોલાવવામાં આવી છે.

- text