માત્ર રૂ.૩૦માં આયુષ્માન યોજનાનું કાર્ડ બનાવો

- text


આયુષ્માન યોજના અંતર્ગત કાર્ડ બનાવી મેળવો ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર

દિવસે-દિવસે મોંઘવારીનો મારો વધતો જાય છે. એવામાં જો કોઈ દવાખાનું આવી જાય તો લાખો રૂપિયા દેવા છતાં છૂટકો નથી આવતો. ભારત સરકારે શરૂ કરેલી આયુષ્માન યોજના અંતર્ગત માત્ર ૩૦ રૂપિયામાં આ ખાસ કાર્ડ બનાવીને તમે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જોકે આ માટે તમારું નામ આ સ્કીમમાં સામેલ હોવું જોઈએ. દેશમાં આ સ્કીમ અંતર્ગત ૧૦ કરોડ પરિવારોના લગભગ ૫૦ કરોડ લોકો સામેલ છે. જેમને ૫ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.

ગોલ્ડન કાર્ડ બે સ્થળોએ હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર(CSC) પર બનશે. ગામડાંઓમાં રહેતા લોકોને સરળતાથી આ યોજનાનો લાભ મળે માટે CSC સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. કાર્ડ બનાવવા માટે 30 રૂપિયા આપવાના રહેશે. કાર્ડને લેમિનેટ કરવામાં આવશે. સ્કીમમાં સામેલ વ્યકિત CSCમાં આવીને આયુષ્માન ભારતની યાદીમાં તમારૂ નામ ચેક કરી શકો છો.  જો એક પરિવારમાં પાંચ વ્યકિત છે તો દરેકનું અલગ-અલગ કાર્ડ બનશે.

આયુષ્માન હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમના દરેક લાભાર્થીને PMO દ્વારા વડાપ્રધાનના લખાણવાળો પત્ર મોકલવામાં આવી રહ્યા છે. આ પત્રના માધ્યમથી જ ઈન્સ્યોરન્સની આગળની પ્રક્રિયા શરૂ થશે. આ પત્રની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડથી હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલમાં તમારી ઓળખ સરળતાથી જઇ જશે. તમામ લાભાર્થીઓના QR કોડ અલગ-અલગ છે. તેથી QR કોડથી હોસ્પિટલમાં તમારી ઓળખ સુનિશ્ચિત થયા બાદ લાભાર્થીના પરિવારને ગોલ્ડન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ ગોલ્ડન કાર્ડ જ તમને હંમેશા કામ આવશે.

આયુષ્માન સ્કીમ હેઠળ કેન્સર, હૃદયની બીમારી, કિડની, લિવર, ડાયાબિટીઝ સહિતની ૧૩૦૦ જેટલી બીમારીઓની સારવાર આયુષ્માન ભારત હેઠળ કવર થશે. સાથે જ આ સારવાર સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં પણ કરાવી શકાશે. જેમાં તપાસ, દવાઓ, સારવાર, હોસ્પિટલાઇઝેશન અને ત્યારપછીના ખર્ચને પણ કવર કરવામાં આવશે. ઉપરાંત હાલની બીમારીને પણ કવર કરવામાં આવશે.

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

- text

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને  20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે.

આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિં તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.

- text