પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવની તડામાર તૈયારી

- text


રાજકોટમાં 500 એકર જમીનમાં આકાર લઇ રહ્યું છે સ્વામિનારાયણ નગર : હજારો સ્વયંસેવકો ખડે પગે 24 કલાક સેવામાં વ્યસ્ત

મોરબી : વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તા.૦૫ ડિસેમ્બરથી તા.૧૫ ડિસેમ્બર સુધી ઉજવાનાર ૧૧ દિવસીય આ મહોત્સવમાં લાખો હરિભક્તો ઉમટશે. આ બાબતને લક્ષ્યમાં રાખીને ખૂબ વિરાટ પાયા પર ૫૦ જેટલા સેવા વિભાગોમાં સંતો અને સ્વયંસેવકો દ્વારા સેવાયજ્ઞ થઈ રહ્યો છે. રાજકોટ મોરબી હાઇવે ઉપર મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે જેમાં 500 એકર જમીન ઉપર સ્વામિનારાયણ નગર ખડું કરવામાં આવી રહ્યું છે અને હજારો હરિભક્તો દિવસ રાત જોયા વગર મહેનતમાં લાગી ગયા છે.

આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજનથી લઈ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો લોકોનાં સેવા અને સમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત વિભાગોમાં દેશ-વિદેશના હજારો હરિભક્તો પોતાનો અમૂલ્ય સમય આપીને જોડાઈ રહ્યા છે. ભાઈઓ અને બહેનોથી યુક્ત આ સ્વયંસેવક દળની કેટલીક વિશેષતા આશ્ચર્યકારક છે. અહીં કેટલાય ડોકટરો, એન્જિનયરો, ઉધોગપતિઓ, શિક્ષકો વગેરે કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા આપી રહ્યા છે. કેટલાય કારખાનાના માલિકોએ પોતાના કારીગરો અને મજૂરોને વેતન આપીને મહોત્સવની સેવામાં જોડ્યા છે. તદુપરાંત, દેશ-વિદેશમાં ડોકટર, ઈજનેર વગેરનો ઉચ્ચ અભ્યાસ કરેલા સંતો કઠિન પુરુષાર્થ અને આયોજનથી મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓક્સફોર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સીટીઓમાં શિક્ષિત સંતો રોજ ૧૬ થી ૧૮ કલાકો સુધી સેવા કરી રહ્યા છે.

- text

આ મહોત્સવની સેવામાં સંડાસ-બાથરૂમ સાફ કરવાથી લઈને સ્ટેજ વ્યવસ્થા સુધીના ૫૦થી વધુ સેવા વિભાગોમાં સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકો હોંશે-હોંશે જોડાયા છે. બહેનો નારીશક્તિનો પરિચય આપતાં મહોત્સવ સ્થળને સાફ કરવાની સેવામાં જોડાયા છે. મહોત્સવ સ્થળની ૫૦૦ એકરની ભૂમિને સમથળ કરી કાંટા, કાંકરા, કચરો વીણીને સ્વચ્છ કરવાની સેવામાં પણ સ્વયંસેવકો હોંશેહોંશે જોડાયેલા છે. એક દિવસથી લઇ એક વર્ષ સુધીની સેવામાં કોઇપણ જાતની અપેક્ષા વગર સતત અને સખત પુરુષાર્થ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વડીલોની સાથે નાના બાળકો અને યુવાનોનું પણ મહોત્સવમાં અપાર સમર્પણ રહેલું છે. કેટલાય બાળકોએ રાજીખુશીથી ચોકલેટ, પિત્ઝા જેવી ભાવતી વાનગીઓ અને ફટાકડા વગેરેનો ત્યાગ કરીને, તેમાંથી બચત કરી મહોત્સવમાં યોગદાન આપ્યું છે. ઘણાં યુવાનો મોબાઈલ, કપડાં વગેરે મોજશોખનો ત્યાગ કરી નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યા છે.

આ મહોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ૬ જેટલા આકર્ષક પ્રદર્શનખંડો બનાવવામાં આવી રહ્યા છે. કલાત્મક મંદિરો, તદુપરાંત મંત્રમુગ્ધ કરનારો લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સ્ટ્રક્ચર મહોત્સવ સ્થળ પર ખડું કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ નગરમાં મુલાકાતીઓને આવકારતો ભવ્ય કલાત્મક પ્રવેશદ્વાર આકાર લઈ રહ્યો છે. સમગ્ર રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે કે કેવો હશે આ મહોત્સવ?! આ મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહેલા રાજકોટવાસીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના ભક્તો-ભાવિકોના હૈયા થનગની રહ્યા છે.

 

- text