જય શ્રીરામ : મોરબીમાં રામનવમીએ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


સર્વે સનાતની હિન્દુ સંગઠનો દ્વારા તડામાર તૈયારીઓ : આ વર્ષની શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ અપાયું 

રામ મહેલ મંદિરે થશે ભવ્ય મહાઆરતી, યાત્રાના રૂટ પર શણગાર કરાયા, શોભાયાત્રામાં દરેક સમાજ જોડાશે

મોરબી : રામનવમીના પાવન અવસરે મોરબીમાં ભવ્યાતિભવ્ય રામ નવમી હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 17 એપ્રિલને બુધવારના રોજ સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા મોરબીના માર્ગો પર આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે.

આ અંગે સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ હિન્દુ સંગઠનોનાં આગેવાનો દ્વારા રામનવમીના દિવસે યોજાનાર હિન્દુ વિજય યાત્રા અંગેના આયોજન બાબતે માહિતી આપવામાં આવી હતી. અગ્રણી કમલેશભાઈ બોરિચાએ રામનવમીની ઉજવણીના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 17 એપ્રિલના રોજ મોરબીમાં હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવા પાછળનું કારણ જણાવતા આયોજકોએ કહ્યું કે, અનેક સંઘર્ષ પછી હિન્દુ સમાજનો વિજય થયો છે. અનેક વીરપુરુષોના સંઘર્ષો અને હિન્દુ યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે. અંદાજે 5 લાખ કારસેવકોએ આહૂતિ આપી હોવાથી હિન્દુ સમાજનો વિજય થયો હોવાથી આ યાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ વિજય યાત્રા રામનવમીએ બપોરે 4 કલાકે સર્કિટ હાઉસથી શરૂ થશે અને ત્યાંથી મહારાણા પ્રતાપસિંહજી સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેશન, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, બાપા સિતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ ચોક, નહેરૂ ગેઈટ, ગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પહોંચશે અને રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે.

- text

હિન્દુ વિજય યાત્રાના મુખ્ય આકર્ષણોની વાત કરતાં આયોજકોએ જણાવ્યું કે, આ માટે પ્રભુ શ્રી રામનો રથ શણગારવામાં આવ્યો છે. જેમાં દર વર્ષે જે મૂર્તિ મૂકવામાં આવે છે તે મૂર્તિ રથમાં બિરાજમાન કરવામાં આવશે અને મોરબી વાસીઓને પ્રભુશ્રી રામ દર્શન આપશે. શોભાયાત્રામાં નાસિક ઢોલની ટીમ બોલાવામાં આવી છે. નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રા રહેશે. દરેક સર્કલે રામ ભગવાનના કટ આઉટ લગાવાશે. યાત્રામાં કાર્યકરો ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આવશે. અલગ અલગ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત પોઈન્ટ પણ બનાવવામાં આવશે. ઠેર-ઠેર ધ્વજા અને પતાકા લગાવાયા છે. આ શોભાયાત્રામાં દરેક સમાજને જોડાવા આમંત્રણ અપાયું છે. આ શોભાયાત્રામાં હિન્દુ સમાજ અને સંગઠનો જોડાય અને શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવે તેવી સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text