- text
મોરબી : મોરબી બસ સ્ટેશનથી દરરોજ બપોરે 12-30 કલાકે ઉપડી બોડકી ગામ સુધી જતી એસટી બસનો રૂટ તંત્રએ અચાનક બંધ કરી દેતા બોડકી ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ રૂટ ફરીથી ચાલુ કરવા ઉગ્ર માંગ કરી છે.
બોડકી ગામના ગ્રામજનોએ મોરબી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, મોરબી ડેપોમાંથી દરરોજ બપોરે 12-30 કલાકે ઉપડતી બસ બોડકી ગામ સુધી જતી હતી. હાલ ગ્રામજનોને જણાવાયું છે કે આ બસ બોડકી ગામ નથી જતી હાલ આ બસ બોડકીથી 1.5 કિલોમીટર પહેલા આવતા કુંતાસી ગામ સુધી જ જાય છે. ગામના લોકોનું કહેવું છે કે પહેલા આ બસ બોડકી ગામ સુધી આવતી હતી પરંતુ હવે બોડકીના મુસાફરોને કુંતાસી જ ઉતારી દેવામાં આવે છે. ત્યારે આ રૂટ શા માટે બંધ કરવામાં આવ્યો તે અંગે ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જો તાત્કાલિક બોડકી ગામ સુધી એસટી બસ ચલાવવામાં નહીં આવે તો ગ્રામજનોને નાછૂટકે મોરબી બસ ડેપોમાં હડતાળ પર બેસવું પડશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.
- text
- text