વાવાઝોડાના કારણે ઉનાળુ પાકોની ટેકાના ભાવની ખરીદી એક મહિનો લંબાવાઈ  

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા. 15 જૂન-2023 સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. 15 જુલાઈ-2023 એટલે કે વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે તેમ, નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

- text

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા. ૧૪ જૂન-2023થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.વધુમાં રાજ્યમાં પરિસ્થિતિ અનૂકુળ થયેથી નિયત પદ્ધતિ મુજબ ટેકાના ભાવે રાબેતા મુજબ વિવિધ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે, જેની તમામ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text