- text
જંગલ વિસ્તારની નજીકમાં આવેલ વાડીમાં ત્રીજી વખત મારણ : વનવિભાગ પાંજરું મુકશે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં જંગલ વિસ્તાર નજીક આવેલ વાડીમાં ફરી દીપડાએ ગાયનું મારણ કરતા વનવિભાગ દોડતો થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં જંગલ વિસ્તારમાં દીપડાઓની વસ્તી વધી હોય તેવી સ્થિતિ વચ્ચે અવાર નવાર દીપડો મારણ માટે સિમ નજીકના વિસ્તારમાં તેમજ વાંકાનેર શહેર સુધી ઘુસી જતો હોવાના અનેક બનાવ વચ્ચે વાંકાનેરના જાલસીકા ગામની સીમમાં હેમંતભાઈ મેણંદભાઈ ડાંગરની વાડીમાં બાંધેલી ગાય ઉપર હુમલો કરી મારણ કર્યું હતું,
આ મામલે વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાએ જણાવ્યું હતું કે, બનાવ જે સ્થળે બન્યો છે તે વાડી જંગલ વિસ્તારની બિલકુલ નજીક છે, આ અગાઉ પણ વાડી માલિકને ખુલ્લામાં પાલતુ પશુઓ ન બાંધવા ચેતવણી આપવામાં આવી છે, આજની આ ઘટના બાદ વાંકાનેર વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી ગાયના મૃત્યુ અંગે વળતર ચૂકવવા મામલે કાર્યવાહી શરૂ કરી છે.
- text
- text