મોરબીના રાજપર- ખાનપર રોડ ઉપર એસેન્ટ કાર લોખંડના થાંભલામાં અથડાઈ : ત્રણના મોત

- text


 

લોખંડના થાંભલા સાથે કાર એટલી જોરદાર ટકરાઈ કે થાંભલો પણ નીકળી ગયો : કારમાં કારખાનામાં કામ કરતા કામદારો હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીના રાજપર – ખાનપર રોડ ઉપર બોખલીયા હનુમાન મંદિરની બાજુમાં પુરપાટ વેગે દોડતી કાર લોખંડના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજયા હતા. આ કારની સ્પીડ એટલી જોરદાર હતી કે લોખંડનો થાંભલો જમીનમાંથી બહાર નીકળી ગયો હતો. અકસ્માત બાદ કારમાંથી ઇજાગ્રસ્તોને મહામુસીબતે બહાર કાઢી મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ત્રણેય લોકોએ આખરી શ્વાસ લીધો હતો.

આ ગમખ્વાર અકસ્માતની વિગતો જોઈએ તો મોરબી રાજપર રોડ ઉપર થોરાળા ગામના પાટિયા નજીક આવેલ બોખલીયા હનુમાનજીના મંદિર નજીક જીજે-03-CA-4814 નંબરની હ્યુન્ડાઇ એસેન્ટ કાર પુરપાટ વેગે જતી હતી ત્યારે લોખંડના વીજ થાંભલા સાથે જોરદાર રીતે અથડાતા કાર પલટી મારી ગઈ હતી અને લોખંડનો થાંભલો પણ જમીનમાંથી નીકળી ગયો હતો.

આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે પુરુષ અને એક મહિલાને રાજપર ગામના લોકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોએ મહામુસીબતે બહાર કાઢયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન અકસ્માતની ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં સવાર એક વ્યક્તિનું નામ મનોજ રાય અને અન્ય એક વ્યક્તિનું નામ રાજેશકુમાર બેચંદભાઈ મહેતા ટંકારાના હોવાનું અને ઓરેન્જ પોલીપેક ચાંચપરના કોન્ટ્રાકટર હોવાનું જાણવા મળે છે જ્યારે મહિલાની હજુ કોઈ ઓળખ મળી નથી અને મૃતકો રાજપર રોડ ઉપર આવેલ ફેકટરીના કામદાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text